રાજ્યમાં LF7 વેરિયેન્ટ સક્રિય, રાજકોટમાં કોવિડ-19ના વધુ 6 કેસો
ઓમિક્રોનનો સબ વેરિયેન્ટ હાલ ઘાતક નહીં, પણ વધુ સંક્રામક વેક્સિન લેનારાને ફરી ચેપ લાગે છે
રાજકોટ, : રાજ્યમાં ફરી એક વાર કોરોના ચર્ચામાં આવેલ છે અને કેસો વધતા જાય છે. આ સંક્રમણ 2022માં નવા આવેલા વેરિયેન્ટ ઓમિક્રોનના બદલાયેલા રૂપ એવા 'એલએફ.૭' નામથી ઓળખાતા વેરિયેન્ટથી વધી રહ્યાનું વિવિધ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. દરમિયાન રાજકોટમાં આજે વધુ 6 પોઝીટીવ કેસો સહિત 2 દિવસમાં 12 વ્યક્તિઓને અને સપ્તાહમાં 17 વ્યક્તિઓને કોરોના ચેપ લાગ્યાનું જાહેર થયું છે.જ્યારે જામનગરમાં આજે કામદાર કોલોનીમાં રહેતા એક દર્દીને કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો છે અને કૂલ કેસો 12 થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જાન્યુઆરી-2022થી કોરોનાની ત્રીજી લહર આવી તેમાં કેસોમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો અને એક દિવસમાં રાજકોટમાં 1700 સહિત રાજ્યમાં મહત્તમ ૨૩ હજાર કેસો નોંધાયા હતા. ફેબુ્રઆરીના પ્રારંભે રોજ અનેકના મૃત્યુ પણ નોંધાતા હતા પરંતુ, માર્ચમાં આ મોજુ ઓસરી ગયું હતું. આ વખતે ઓમિક્રોન વેરિયેન્ટ સક્રિય હતો જે સૌથી વધુ સંક્રામક એટલે કે કોઈ પણ સાજાનરવા વ્યક્તિને ઝડપથી ચેપ પ્રસરાવી શકે છે પરંતુ, તે બહુ ઘાતક નથી મનાતો. હાલ તેનું વિશ્વભરમાં મોનીટરીંગ થઈ રહ્યુ છે.હાલ ભારતમાં તમિલનાડુ ખાતે JN 1.8.1 વેરિયેન્ટના અને ગુજરાતમાં નોંધાયેલા કેસોના જીનોમ સિક્વન્સીંગમાં LF7 વેરિયેન્ટ જણાયો છે.
રાજકોટમાં 17 કેસોનો અભ્યાસ કરતા મોટાભાગના દર્દીઓ એવા છે જેમને વેક્સીનના 2થી 3 ડોઝ લીધેલા છે. આ દર્દીઓમાં 6 માસના બાળકથી માંડીને 67 વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે અર્થાત્ કોઈ પણ ઉંમરના લોકોને સંક્રમણ ફેલાઈ શકે છે. ઉપરાંત આ કેસો કોઈ ચોક્કસ વિસ્તારમાં નહીં પરંતુ, છૂટાછવાયા અનેક લત્તાઓમાં નોંધાયા છે જેનું તારણ એ નીકળે છે કે તે પ્રસરી રહ્યો છે. એકલ-દોકલ દર્દીને બાદ કરતા તમામને હોમ આઈસોલેટ કરાયા છે,હોસ્પિટલાઈઝેશનની જરૂર જણાઈ નથી જે દર્શાવે છે કે હજુ સુધી કોરોના માઈલ્ડ છે, ઘરે રહીને સારવારથી જ સાજા થઈ શકે તેવા સામાન્ય લક્ષણો જણાયા છે.
નવા વેરિયેન્ટની ખબર લક્ષણો પરથી પડતી નથી, સૂત્રો અનુસાર કોરોનામાં તાવ,ઉધરસ, થકાણ, ગળામાં દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે લક્ષણો જ જોવા મળે છે. ગંભીરતા ત્યારે દાખવાય છે જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય અને ન્યુમોનિયા રિપોર્ટ પણ નેગેટીવ આવે