Get The App

વડોદરાને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી નદીના કિનારાનું જ કામ કર્યું, હજી બીજી કામગીરી બાકી

નદીમાં ગટરનું પાણી નહી છોડવા તેમજ બુલેટ ટ્રેનના પિલરો બનાવવા નદીમાં ઊભા કરેલા અવરોધો ચોમાસા પૂર્વે દૂર કરવા ટકોર

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાને પૂરથી બચાવવા માટે  વિશ્વામિત્રી નદીના કિનારાનું જ કામ કર્યું, હજી બીજી કામગીરી બાકી 1 - image

વડોદરા, તા.10 વડોદરામાં ગયા વર્ષે વિશ્વામિત્રી નદીના કારણે આવેલા પૂર બાદ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને સુઓમોટો લઇ કેસ રજિસ્ટર કરી પાંચ સભ્યોની વિશ્વામિત્રી કમિટી બનાવી હતી. આ કમિટી દ્વારા કમિશનને પ્રથમ રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે જ્યારે અન્ય રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરાશે.

રાજ્યના માનવ અધિકાર પંચના નિર્દેશથી પાંચ સભ્યોની કમિટી બનાવાઇ હતી જેમાં પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટ પ્લાનર, જિયોલોજિસ્ટ, બોટનિસ્ટ, અર્બન પ્લાનરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા વિશ્વામિત્રી નદીનું વિવિધ સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મુલાકાત બાદ એક સંયુક્ત રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ વિશ્વામિત્રી નદીમાં પૂરને રોકવા માટે હાલની કામગીરી માત્ર નદીના બે કિનારે જ ચાલતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે નદી માટે હજી ઘણું કરવાનું બાકી છે તેમ જણાવાયું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ મુજબ નદીની પ્રથમ વખત જગ્યા ઓળખાઇ છે જેમાં માત્ર બે કિનારા પર જ નહી પરંતુ અન્ય સ્થળોએ પણ કામ કરવાનું બાકી છે તેમ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું.

નદીની ગુણવત્તા જાળવવા માટે નદીમાં છોડાતું ગટરનું અનટ્રિટેડ પાણી નહી છોડવા કહ્યું છે. નદીની બધી જગ્યાએ ખોદકામ નહી કરવાનું  હોવાથી કેટલાક સ્થળે તે કામગીરી રોકવામાં આવી હતી. નદીના કિનારે ઢાળ થઇ ગયો હોવાથી ઇરોઝન થવાની શક્યતા છે જેથી કોયર વર્ક કરવા જણાવ્યું હતું. જ્યાં ઇરોઝન થાય ત્યાં કોયરથી ઢાંકવાનું જણાવાયું છે. નદીમાં વેજિટેશન પણ જરૃરી છે, નદીનો સ્લોપ મગરો તેમજ અન્ય જળચર માટે જરૃરી છે આવી જગ્યા ડિસ્ટર્બ નહી કરવા જણાવાયું હતું. 

નદીના અંદરના ભાગે નહી પરંતુ કિનારા પર પ્લાન્ટેશનની ભલામણ કરી જ્યાં પ્લાન્ટેશન થાય ત્યાં આપણાં જ વિસ્તારના વૃક્ષો વાવવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઇએ. બુલેટ ટ્રેન તેમજ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નદીમાં પિલરો બનાવવા માટે અડચણો ઊભા કરાયા છે તે ચોમાસા પૂર્વે હટાવી લેવાની સલાહ આપવામાં આવી છે.

શહેરમાં ત્રણ સ્થળે વિશ્વામિત્રીના કોતરોમાં હજી કચરો જામેલો છે

વિશ્વામિત્રી નદીમાંથી પાણીનો પ્રવાહ સરળતાથી વહે ઉપરાંત તેને શુધ્ધ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે શહેરના કેટલાંક સ્થળોએ નદીના કિનારે કોતરોમાં કચરો, સોલિડ વેસ્ટ હટાવવાનો બાકી છે. શહેરના અગોરા મોલની પાછળ ભરવાડવાસ, સયાજી હોટલનો પાછળનો ભાગ તેમજ અકોટા ગામની સ્મશાન પાછળ કોતરોમાં મોટા પ્રમાણમાં કચરો છે જેને દૂર કરવો જરૃરી છે.

રોડ પર રોડ બનતા પાણી ભરાવવાની સમસ્યાઓ વધી રહી છે

વડોદરા શહેરમાં પૂર અને પાણી ભરાવવાની બંને અલગ સમસ્યા છે. શહેરમાં રોડ સમયાંતરે ઊંચા થાય છે જેના કારણે વરસાદી પાણી અગાઉ વહીને કાંસમાં જતું હતું તે અટકી ગયું છે, રોડના કારણે જમીન ખુલ્લી નથી જેથી જમીનમાં પાણી ઉતરતું નથી. રોડની હાઇટ વધે છે જેના માટે લાંબાગાળાનું પ્લાનિંગ જરૃરી છે. રોડની હાઇટ ઘટે તેવા પ્રયત્નો કરવા જોઇએ. રિપોર્ટમાં વાંકીચૂકી નદીને ડિસ્ટર્બ નહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

Tags :