વૃક્ષ પ્રેમનો વારસો : દસાડાના માલણપુરની 1200ની વસ્તી સામે ગામમાં 7000 વૃક્ષ
દર ચોમાસામાં નવા ૧૦૦૦થી વધુ વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ
દરેક વ્યક્તિ દીઠ પાંચથી વધુ વૃક્ષનું વાવેતર સાથે ઉછેર કરી ગામને હરિયાળુ બનાવ્યુંઃ વૃક્ષોના કારણે તાપમાનમાં ઘટાડો થયો
સુરેન્દ્રનગર - સમગ્ર દેશમાં તા.૦૫ જુનના રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને ગ્લોબલ વોર્મીંગથી બચવા વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે માટે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના માલણપુર ગામમાં ગ્રામજનોની અથાગ મહેનતથી આજે ૭૦૦૦થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યાં છે અને લોકોને વિશેષ ઉદાહરણ પુરૃ પાડયું છે.
દસાડા તાલુુકાના માલણપુર ગામના લોકોએ રણ વિસ્તારમાં પણ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરી અનોખો પર્યાવરણ પ્રેમ દર્શાવ્યો છે. માલણપુર ગામની વસ્તી અંદાજે ૧૨૦૦થી ૧૩૦૦ જેટલી છે જેની સામે ગામમાં હાલ ૭૦૦૦થી પણ વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યાં છે અને લોકો આજે કાળઝાળ ગરમીમાં ગામના પાદરે વૃક્ષ નીચે બેસી ઠંડકનો અહેસાસ કરી રહ્યાં છે.
ગ્રામજનોએ બિનપીયત યોજનાનો લાભ લઈ વૃક્ષોનું વાવેતર શરૃ કર્યું હતું અને ગામના લોકો સહિત યુવાનોના સાથ સહકારથી અંદાજે ૩ થી ૪ વર્ષ સુધી વૃક્ષોને નીયમીત ગરમીમાં પણ પાણી આપીને તેનો ઉછેર કરતા આજે ગામમાં ૭૦૦૦ કરતા પણ વધુ વૃક્ષો લહેરાઈ રહ્યાં છે જેમાં ગામમાં પ્રવેશતા જ રોડની સાઈડમાં અંદાજે ૧.૫ કિલોમીટરથી વધુ વિસ્તારમાં તેમજ તળાવ, મંદિર તેમજ બગીચા સહિતના વિસ્તારોમાં વૃક્ષો નજરે પડે છે.
ગામના દરેક વ્યક્તિ દીઠ અંદાજે ૦૫ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષોની સંખ્યા વધતા પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થતાં ગામનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે અને ગ્રામજનો અન્ય ગામો કરતા ઓછા તાપમાનનો અનુભવ કરી રહ્યાં છે. દસાડા તાલુકામાં સરેરાશ ઉનાળા દરમ્યાન ૪૬ થી ૪૭ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતું હોય છે પરંતુ માલણપુર ગામમાં વધુ વૃક્ષોના કારણે તાપમાનમાં ઘટાડો અનુભવતા લોકો ગરમીથી રાહત મેળવી રહ્યાં છે. જ્યારે ગ્રામજનો દ્વારા દર ચોમાસામાં ગામમાં નવા ૧૦૦૦થી વધુ વૃક્ષોને વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ પણ લીધો છે.
આ તકે ગામના આગેવાનો અને રહિશોના જણાવ્યા મુજબ દરેક લોકો પોતાના જન્મદિવસે અથવા કોઈ તિથિ નિમિત્તે વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની અસરમાંથી મુક્તિ અપાવી શકાય છે. સામાન્ય રીતે રાજકીય આગેવાનો તેમજ સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષોનું વાવેતર કરતા ફોટોસેશન કરી સંતોષ માની લે છે પરંતુ ત્યારબાદ આ વૃક્ષોનું કોઈ જતન કે પરવાહ કરતું નથી ત્યારે દસાડાના માલણપુર ગામના ગ્રામજનોએ રણ વિસ્તારમાં હોવા છતાં ૭૦૦૦થી વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરી આજના યુગમાં કોંક્રીટના જંગલોમાં રહેતા લોકોને નવી રાહ સાથે પ્રેરણારૃપ ઉદાહરણ પુરૃ પાડયું છે.