એકલવ્યની માફક ચિત્ર દોરવાની કલા શિખી રામાયણનાં પ્રસંગોની શ્રેણી રચી
રાજકોટમાં રામાયણ આધારિત પ્રસંગોની ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો શુભારંભ : ગરૂડપુરાણ આધારિત ચિત્ર પ્રદર્શની તૈયાર કરનારા યુવા ચિત્રકારો હવે ભગવાન વિષ્ણુના દશાવતાર આધારિત ચિત્ર શ્રેણી તૈયાર કરશે : શિક્ષણમાંથી ચિત્રકલા નામશેષ થઈ રહી છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો ચિત્રો દ્વારા પરિચય કરાવવાનો પ્રયાસ
રાજકોટ, : 'ચિત્રકલાએક એવી સાધના છે, જેના થકી વ્યક્તિ ધ્યાનસ્થ થઈ શકે છે' રાજકોટની રાષ્ટ્રીય શાળામાં રામાયણ ગ્રંથ આધારીત ચિત્ર પ્રદર્શની તૈયાર કરનારા કલાકારોએ આજે ચિત્રકલાની વર્તમાન સમયમાં અનિવાર્યતા સમજાવી ભારતીય સંસ્કૃતિનો પરીચય ચિત્રકલા દ્વારા નવી પેઢીને કરાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
રામાયણનાં વિવિધ પ્રસંગોની અનુભૂતિ કરાવતી ચિત્રકૃતિઓનું પ્રદર્શન આજથી અહીની રાષ્ટ્રીય શાળામાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામનાં જીવન સાથે જોડાયેલી કથાને મૂર્તિમંત કરનારા ચિત્રો વિશે આયોજકોએ જણાવ્યું હતું કે, અમે કોઈ ફાઈનઆર્ટસ કોલેજમાં ભણીને ચિત્રો દોરનારા કલાકારો નથી. ચિત્ર અમારો શોખ છે. જૂદા જુદા અભ્યાસક્રમો ભણીને ચિત્રો પ્રત્યે અભિરુચિ કેળવીને ચિત્રકલાને એક સાધના તરીકે જીવનમાં સ્થાન આપીને ભારતીય સંસ્કૃતિને ચિત્રકૃતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ. વધુમાં જણાવાયું હતું કે, અગાઉ ગરૂડ પુરાણ આધારિત ચિત્ર શ્રેણી તૈયાર કરી હતી. હવે રામાયણ પર આધારીત ચિત્ર પ્રદર્શની તૈયાર કરી છે. આગામી દિવસોમાં ભગવાન શિવજીનાં ૨૧ અવતાર અને ભગવાન વિષ્ણુંનાં દશાવતાર વિશે ચિત્ર શ્રેણી તૈયાર કરીશું. આજે જે ચિત્ર પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી તેમાં વોટર કલર, ઓઈલ પેઈન્ટ, પેન્સીલ કે પેન, ચિત્રો બનાવવાથી માંડીને કેન્વાસ ઉપર ચિત્રો તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું.
ચિત્ર દ્વારા મનને શાંતિ મળે છે. ચિત્રો દોરવાની કલાથી એકાગ્રતા કેળવાય છે. ખોટા વિચારો આવતા નથી. સર્જનાત્મક શક્તિઓ વિકસે છે. તેથી આ ચિત્રો તૈયાર કરવામાં ભાઈઓ કરતાં બહેનોનો ફાળો સવિશેષ રહ્યો છે. તેમ ચિત્રકાર અંજના પડીયાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં એક ગુ્રપને ચિત્રોનાં કામમાં જોડવાનાં વિચાર આવ્યો તેમાંથી યુવા ચિત્રકારોનું ગુ્રપ રાજકોટની આજ અલગ ઓળખ બન્યું છે. ચિત્રો તૈયાર કરવામાં 10 વર્ષના કલાકારથી માંડીને મોટી ઉંમરનાં વયસ્ક કલાકારોનો સમાવેશ થાય છે.
શિક્ષણમાંથી ચિત્રકલાનું અસ્તિત્વ ભુસાતુ જાય છે. ત્યારે નવી પેઢીને ચિત્રકલા તરફ આકર્ષિત કરવાનું કામ આ પ્રકારની પ્રદર્શની દ્વારા થઈ શકશે તેમ જણાવી આકાર આર્ટ ગુ્રપનાં આયોજકોએ જુદા જુદા વિસ્તારોમાં, શહેરોમાં આ પ્રકારનિ ચિત્ર પ્રદર્શની દર ત્રણ મહિને અલગ અલગ વિષયો સાથે યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રીય શાળામાં ત્રણ દિવસનો આયોજિત ચિત્ર પ્રદર્શનના પ્રથમ દિવસે ઉગતા કલાકારો માટે આ પ્રદર્શની પથદર્શક બની રહી હતી.