લાલપુરના કરાણાં ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : રૂ.15.76 લાખની માલમતા સાથે 12 આરોપીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસાની મીની કલબ ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 12 આરોપીઓની અટકાયત કરી લઓ તેઓ પાસેથી રૂપિયા 15.75 લાખનો મુદામાલ કબજે કર્યો છે, જયારે 4 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના કરાણાં ગામમાં કનકેશ્વર મંદિરની બાજુમાં વિસ્તારમાં રામભાઈ રણમલભાઈ મોઢવાડિયા તેમજ ભરત રણમલભાઈ મોઢવાડિયા દ્વારા જુગારધામ ચલાવાઇ રહ્યું છે, અને જામનગર-લાલપુર પંથકના કેટલાક જુગારીયા તત્વો ઘોડીપાસા વડે જુગાર રમવા આવી રહ્યા છે, તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, ત્યારે નાશભાગ થઈ હતી.
એલસીબીની ટુકડીએ કુલ 12 આરોપીઓ જેમાં ભરત રણમલભાઈ મોઢવાડિયા, સુખદેવ સિંહ મહેન્દ્રસિંહ વાઢેર, રાકેશ તુલસીભાઈ વાઘેલા, અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર, સુરજ કાનજીભાઈ રાઠોડ, કમલેશ જગદીશભાઈ ખારવા, સિધ્ધરાજસિંહ ઘનુભા ઝાલા, ભરત વલ્લભભાઈ કનખરા, જીગ્નેશ ધીરુભાઈ ચાંદ્રા, કિશોર ભીમજીભાઈ સુવા, હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ હનુભા ચાવડાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,75,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ દરોડા સમયે લક્ષ્મણ રમેશભાઈ કંટારીયા, મહેશ નરશીભાઈ ઢાપા, અજય વાઘેલા, અને રામ રણમલભાઈ મોઢવાડિયા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે. તમામ સામે લાલપુર પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 2,70,600 ની રોકડ રકમ, 12 નંગ મોબાઈલ ફોન, ત્રણ ફોરવીલ સહિતની માલમતા કબજે કરી છે.









