Get The App

ઓપરેશન સિંદૂર બાદ આજે PM મોદી ગુજરાતમાં, 82000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
PM Modi Gujarat Visit


PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.24,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે. જયારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5539 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાનની પ્રથમ ગુજરાત મુલાકાત 

વડાપ્રધાન ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 



ગુજરાતમાં વિકાસકાર્યોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત 

આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે. 

દાહોદમાં 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરાશે 

દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરાશે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂા. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. 

પાણી યોજના થકી 193 ગામોને ફાયદો થશે 

દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂા. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. 

અમદાવાદમાં સિવિલ પરિસરમાં આઈપીડીનું ખાતમુહૂર્ત

27મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં રૂા. 1000 કરોડના ખર્ચે નિર્માણ થનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં યુ. એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઓપીડીસાથે 18000 બેડ ધરાવતા આઈપીડી જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે, જેનું પણ સિવિલ પરિસરમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. 

વંદેભારત સહિતની બે ટ્રેનોને પીએમ લીલી ઝંડી આપશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26મીએ દાહોદથી વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી-બોટાદ ટ્રેન અને અમદાવાદ (સાબરમતી) સોમનાથ (વેરાવળ) વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. જે સાથે આ નવી બંને ટ્રેનો ગુજરાતમાં શરૂ થશે. 8 કોચની વંદેભારત ટ્રેન 27મેથી શરૂ થશે. 

ઓપરેશન સિંદૂર બાદ આજે PM મોદી ગુજરાતમાં, 82000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે 2 - image

Tags :