ખતરનો એકમાત્ર બગીચો જાળવણીનો અભાવે ઘણા સમયથી વેરાન
કિશોરીઓના વ્રત શરુ થાય તે પહેલા રિનોવેશન કરવા માંગ
બગીચામાં હિચકા, લપસીયા, ફુવારા સહિતની તમામ રાઈડસો તુટેલી તેમજ જર્જરીત હાલતમાં
સુરેન્દ્રનગર: લખતર શહેરી વિસ્તારમાં બાળકોને હરવા-ફરવા તેમજ આનંદ માણવા માટે વર્ષો પહેલા લખતર એપીએમસી દ્વારા રામદાસ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ બગીચાની યોગ્ય જાળવણી અને દેખરેખના અભાવે હાલ ઉજ્જડ બની ગયો છે. જેના કારણે લોકોને તેમજ બાળકોને હાલ વેકેશનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
લખતર શહેરમાં વર્ષો પહેલા લખતર એપીએમસી દ્વારા ઘર આંગણે હરવા-ફરવા લાયક સ્થળ મળી રહે તેવા હેતુથી બગીચો બનાવવામાં આવ્યો હતો જેને રામદાસ બાગ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ બગીચાની યોગ્ય જાળવણી તેમજ દેખરેખના અભાવે હાલ ઉજ્જડ બની ગયો છે. એકતરફ હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ગામમાં સાંજના સમયે બાળકોને હરવા-ફરવા માટેનું કોઈ સ્થળ નહીં હોવાથી મુશ્કેલી પડી રહી છે. આગામી દિવસોમાં મોળાવ્રત શરૂ થવાના છે. ત્યારે બાળાઓને પણ બગીચાથી વંચીત રહેવાનો વારો ના આવે તે માટે યોગ્ય રસ દાખવીને બગીચાને લોકોની સુખાકારી માટે રીનોવેશન કરવામાં આવે તેમજ બાળકો માટે અલગ-અલગ નવી રાઈડસ નાંખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ ઉપરાંત સાંજના સમય બાદ રાત પડતા જ આ બગીચામાં અસામાજીક પ્રવૃત્તિઓ થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમજ બગીચાની યોગ્ય જાળવણીના અભાવે બાળકો માટેના હીંચકા, લપસણી, ચકરડી, ફુવારાઓ સહિતના સાધનો કટાઈને તૂટેલા સાધનોને કારણે તેનો ઉપયોગ થઈ શકતો નથી. ત્યારે સ્થાનીક તંત્ર તેમજ રાજકીય આગેવાનો પણ બગીચાની જાળવણી કરવામાં તેમજ રીનોવેશન કરાવવામાં નિષ્ફળ નીવડયા હોય તેમ લાગી રહ્યું છે. આથી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ઉજ્જડ બનેલ રામદારસ બાગને ફરી પ્રજાનો માટે સુવિધાઓ સાથે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.