કચ્છનાના ખેડૂતે 11 એકર જમીનમાંથી 120 ટન કેરીનું ઉત્પાદન કર્યું
બાગાયતી પાકનું વાવેતર કરનાર ખેડૂતની મહેનત સાર્થક થઈ કેરી, દાડમ અને ખારેક જેવા બાગાયતી પાકની આસપાસની જમીનને લીમડાના પાન, મગફળીનો ચારો, અન્ય ઝાડના પાન તથા સૂકા ડાળીઓના કચરાને એકત્રિત કરીને પાથરે છે
ભુજ, : કચ્છના રણની પથરાળ, ઉજ્જળ અને ડુંગરાળ જમીન, પાણીની અઢળક સમસ્યા ઉપરથી સૂકુ વાતાવરણ કે જ્યાં સામાન્ય પાકનું ઉત્પાદન લેવુ એ પણ લોહી પાણી એક કરવા સમાન છે. આવી જમીનને ખેડીને બાગાયતી પાકનું ઉત્પાદન કરવું, ૦% ખર્ચ સામે 100% ગુણવતાયુક્ત ઉત્પાદન મેળવવું તથા ભારતભરમાં પોતાના પાકની નિકાસ કરવી, મબલક પાક સાથે લાખોની આવક આ બધુ એ પણ પ્રાકૃતિક ખેતી થકી મેળવી રહ્યા છે. ત્યારે, કચ્છનાં વેરાન રણમાં બાગાયતી પાકનું વાવેતર કરનાર જગદીશભાઈ લિંબાણીએ આ વાતને સાર્થક કરી બતાવી છે.
કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ) ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લિંબાણી 35 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી બાગાયત પાકનું ગુણવતાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીક્ષેત્રે એવોર્ડથી સન્માનિત સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે. 68 એકર જેટલી વાડીમાં આચ્છાદિન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રોનો જરૃર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી, દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે. ભારતભરમાં નાસિક, રાયપૂર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, તેમની કુલ 68 એકર જમીન છે. જેમા તેઓ કેરી, દાડમ અને ખારેક જેવા પાકો લઈ રહ્યા છે. કુલ જમીનમાંથી 11 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી 120 ટન પાકનું ઉત્પાદન થયું છે, પ્રત્યેક ઝાડ દીઠ 80 થી 90 કીગ્રા કેરીનું ઉત્પાદન મળે છે. કેરીના પાક માટે અમુક ટકા ભાગની જમીન માટે અન્ય રાજ્યોમાંથી પ્રી ઓર્ડર મળી રહ્યા છે. કેરીના પાકની આસપાસ જમીન પર ભેજ જળવાઈ તથા જમીનનું રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન પધ્ધતિ અપનાવી છે. જેમાં પાકની આસપાસની જમીનને લિમડાના પાન, મગફળીનો ચારો, અન્ય ઝાડના પાન તથા સૂકા ડાળીઓના કચરાને એકત્રિત કરીને પાથરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, ગૌ- કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક તેમજ આંબાના પાક માટે જરૃરી બિવેરીયા બેસીના બેકટેરીયા પણ પ્રાકૃતિક પધ્ધતિથી ગોળ સાથે પલાળીને રોગ નિયત્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.