Gujarat

ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર

By GS TEAM
27 Mar 20261 min read
ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર

વડોદરા,શુક્રવાર

હત્યાના પ્રયાસના બનાવમાં સંડોવાયેલા કુખ્યાત કૃણાલ કહારે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપી સામેના ગુનાની ગંભીરતા અને તેના અગાઉના ગુનાહિત ઈતિહાસને જોતા તેને જામીન પર મુક્ત કરવો ઉચિત નથી.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૫માં હરીશ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેમસાં આરોપીએ જામીન અરજી મૂક્યા બાદ તેની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, ચાર્જશીટ રજૂ થઈ ચૂકી હોવાથી હવે આરોપીને જેલમાં રાખવાનું કોઈ કારણ નથી. વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીને ગુજસીટોક જેવા ગંભીર કેસમાં પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે, તેથી આ કેસમાં પણ તેને જામીન મળવા જોઈએ.

જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને તેણે આ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. જો આવા રીઢા ગુનેગારને જામીન આપવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશ જશે અને પુરાવાઓ સાથે ચેડાં કરશે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.