'કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે...', પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Love Marriage Dispute In Gujarat: ઉત્તર ગુજરાતમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે આ મામલે નવા ફણગા ફૂટ્યા છે. કિંજલ રબારી સમાજની જેમ જ અન્ય સમાજની દીકરીઓ જે રબારી સમાજના યુવકો સાથે પ્રેમલગ્ન કરીને ગઈ છે, તેમને પરત લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિવારોએ રબારી સમાજના આગેવાનોને અપીલ કરી રહ્યા છે.
ખેડાની પાટીદાર માતાની વેદના
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના રેણુકાબેન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને કહી રહ્યા છે કે, અમારી દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે, જે લગ્ન અમને બિલકુલ મંજૂર નથી. બંને સમાજ વચ્ચે દીકરીઓના લેવા-દેવાનો કોઈ વ્યવહાર નથી, તેથી સામાજિક મર્યાદા જાળવી અમારી દીકરી પરત સોંપવામાં આવે.
બનાસકાંઠાના ચૌધરી પરિવારે પણ દીકરીની માંગ કરી
માત્ર ખેડા જ નહીં, પરંતુ બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામના એક ચૌધરી પરિવારે પણ વીડિયો વાઈરલ કરીને પોતાની દીકરી પરત માંગી છે. દંપતીનો આક્ષેપ છે કે જો ચૌધરી અશોકના પરિવારે કિંજલ રબારીને સન્માનપૂર્વક પરત કરી હોય, તો રબારી સમાજે પણ મોટા મન રાખીને તેમની દીકરીને તેના મૂળ પરિવાર પાસે હેમખેમ મોકલી આપવી જોઈએ. આ પરિવારે પણ ઠાકરશી રબારીને મધ્યસ્થી કરવા વિનંતી કરી છે.
કિંજલ રબારી પ્રકરણની શું હતી અસર?
ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન બાદ ભારે વિવાદ સર્જાયો હતો. પરંતુ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની રાતોરાત મળેલી બેઠક બાદ કિંજલ રબારીની 'ઘરવાપસી' થઈ હતી. આ ઘટનાને રબારી સમાજે પોતાની નૈતિક જીત ગણાવી હતી. હવે આ જ ઘટનાને ઉદાહરણ બનાવી અન્ય પીડિત પરિવારો પણ પોતાની દીકરીઓ પરત મેળવવા મેદાને આવ્યા છે.








