ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો

લીંબાસી- તારાપુર રોડ પર એસીબીએ છટકું ગોઠવ્યું
રોડ અકસ્માતમાં પરપ્રાંતીય વ્યક્તિનું અવસાન થતાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા લાંચ માંગી હતી
ફરિયાદ કરનારની કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય વ્યક્તિનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. આ મામલે તપાસ કરવા માટે લીંબાસી પોલીસ સ્ટેશનના પી.આઈ. પરપ્રાંતિયોની તપાસ માટે કંપનીમાં ગયા હતા. ત્યાં હાજર પરપ્રાંતિય વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારે ફરિયાદ કરનાર ત્યાં હાજર ન હોવાથી તેને ફોન કરીને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવવામાં આવ્યું હતું. ફરિયાદ કરનાર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર મેરે તેમને જણાવ્યું કે, જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે સાહેબે ૬૦,૦૦૦નો વહીવટ કરવાનું કહ્યું છે. લાંબી રકઝક બાદ આખરે ૪૦,૦૦૦ની લાંચની રકમ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ખેડા એસીબીનો સંપર્ક કરતા આજે લીંબાસી-તારાપુર જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. છટકામાં આરોપી પંકજકુમાર મેરે હેતુલક્ષી વાતચીત કરીને ૪૦,૦૦૦ની લાંચ સ્વીકારી અને તે રકમ એસીબીએ રીકવર કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
- કોન્સ્ટેબલે જણાવેલા સાહેબ કોણ? સહિતના સવાલો વણ ઉકલ્યા
આ સમગ્ર ટ્રેપમાં સાહેબ કોણ છે? તે લીંબાસી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. વાઢીયા છે કે કેમ? શું આ લાંચની રકમ સીધી તેમના સુધી પહોંચવાની હતી? અને કોન્સ્ટેબલ એક મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યો હતો? આ પ્રશ્નોના જવાબ વણ ઉકલ્યા છે. ખાસ કરીને એસીબીની ટ્રેપમાં અન્ય કોઈ અધિકારીના વતી લાંચ માંગવામાં આવે, તેવા કેસમાં પકડાયેલા આરોપીની સાથે જે-તે અધિકારીને પણ આરોપી બનાવવામાં આવે છે, ત્યારે આ પ્રકરણમાં સાહેબ માત્ર દર્શાવી કોઈ ઉચ્ચ અધિકારીને બચાવવાના પ્રયાસ ચાલે છે કે કેમ? તે અંગે અનેક પ્રશ્નો ઉઠયા છે.








