Gujarat

જિલ્લામાં 3,31,656 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

By GS TEAM
5 Jul 20251 min read
જિલ્લામાં 3,31,656 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

- કુલ વાવેતર પૈકી 56 ટકાથી વધુ જમીનમાં માત્ર કપાસની વાવણી

- 1,04,216 હેક્ટરમાં મગફળી વાવતા કિસાનો : બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, તલ, શાકભાજી, ઘાસચારા સહિતના પાકોનું વાવેતર થયું 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૩,૩૧,૬૫૬ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આ વાવેતર પૈકી ૫૬ ટકાથી વધુ જમીનમાં માત્ર કપાસની જ વાવણી કરવામાં આવી છે. તો ૧,૦૪,૨૧૬ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે તેમ ખેતીવાડી વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

 સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાક અને પાણીની સ્થિતિ સારી છે ત્યારે ધરતીપુત્રો દ્વારા વાવણીનું કાર્ય પૂરજોશમાં શરૂ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ ૧,૮૭,૫૧૭ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે કુલ વાવેતરના ૫૬ ટકાથી વધુ થવા જાય છે. આ ઉપરાંત, મગફળીનું ૧,૦૪,૨૧૬ હેક્ટરમાં, ઘાસચારાનું ૨૯,૦૯૭ હેક્ટરમાં અને શાકભાજીનું ૪,૭૨૯ હેક્ટરમાં વાવેતર થયું છે. 

 જિલ્લામાં અન્ય ખરીફ પાકોની જે વાવણી થઈ છે તેમાં ૪,૫૧૯ હેક્ટરમાં બાજરી, ૪૪૩ હેક્ટરમાં તુવેર, ૩૭૦ હેક્ટરમાં મગ, ૨૧ હેક્ટરમાં મઠ, ૮૨ હેક્ટરમાં અડદ, ૪૩૨ હેક્ટરરમાં તલ, ૨૦ હેક્ટરમાં દિવેલા, ૧૦૧ હેક્ટરમાં સોયાબીન, ૨૯૧ હેક્ટરમાં શેરડી, ૧૩૯ હેક્ટરમાં સ્વીટકોર્ન, ૧૧ હેક્ટરમાં ડુંગળી, ૧,૯૨૯ હેક્ટરમાં સરગવાનો સમાવેશ થાય છે.