Jamnagar : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ સમયસર પધરામણી કરતાં ખેડુતોએ હોંશભેર વાવણી કાર્યનો આરંભ કર્યો હતો, જેમાં 3.47 લાખ હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ મગફળીનું 2,24,622 હેકટરમાં વાવેતર કરાયું છે. જયારે કપાસનું 86,861 હેકટરમાં વાવેતર થયું છે. ગત માસાંતે લગભગ 100 ટકા વાવણી કાર્ય પૂર્ણ થયુ છે.
જામનગર જિલ્લામાં ચાલું વર્ષે જામનગર ઉપરાંત ધ્રોળ જામજોધપુર, જોડીયા. કાલાવડ અને લાલપુર તાલુકામાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ 2,24,622 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે.
સતત બીજા વર્ષે ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી બનાવતા સૌથી વધુ વાવેતર થયુ છે. ધ્રોળ તાલુકામાં 39,886 હેકટર, જામજોધપુર તાલુકામાં 59,308 હેકટર જામનગર તાલુકામાં 72,426 હેકટર જોડીયા તાલુકામાં 35,018, કાલાવડ તાલુકામાં 80,039 હેકટર અને લાલપુર તાલુકામાં 60,389 હેક્ટર જમીનમાં જુદા-જુદા પાકોનું વાવતેર થયું હોવાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યુ છે. જિલ્લામાં દિવેલા સહિતના પાકોનું વાવેતર થયું છે.


