Gujarat

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા

By GS TEAM
19 Mar 20262 mins read
કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા

- મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા કાર્યવાહી 

- અન્ય મિલકત ધારકો પાસેથી 3 લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલાયો, આજે રજાના દિવસે પણ તમામ કચેરી ખુલ્લી રહેશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા મકાન માલિકો અને દુકાનદારો પર બાકી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મનપા વિસ્તારમાં બાકી વેરો નહીં ભરતા ૧૩ મકાનો સીલ કરનવામાં આવ્યા છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે.  

બુધવારે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જેઓ ઘણા સમયથી બાકી વેરો ભરતા નથી અને સોસાયટીઓમાં મકાન બંધ પડેલા છે, તેમજ જેમની પાસેથી રૂ. ૨,૩૫,૯૮૮નો વેરો વસૂલ કરવાનો બાકી હતો, જે ભરપાઈ નહીં થવાના કારણે ૧૩ મકાનો સીલ કરવામાં આવ્યા છે. તેમજ બાકરોલ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં અન્ય મિલકતો ધારકો પાસેથી બાકી વેરાની રકમ રૂ.૩,૦૨,૦૦૨ વસૂલ કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા બાકી રહેલો વેરો મહાનગરપાલિકા કચેરી ખાતે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા અને રવિવારના દિવસો ખાતે પણ કચેરી ખુલ્લી રહેનાર હોવોથી ૩૧ માર્ચ પહેલા બાકી વેરો જમા કરાવવા માટે જણાવ્યું છે. આજે ગુરૂવારના રોજ જાહેર રજાના દિવસે પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ખુલ્લી રહેશે, જ્યાં નગરજનો બાકી વેરો સવારે ૧૧-૦૦થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી જમા કરાવી શકશે.