કલોલના ગાંજાના વેપારીની અટકાયત કરી જામનગર જેલ હવાલે કર્યો

પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ ગાંધીનગર એસઓજીએ
ઘરેથી જ ગાંજાનો વેપાર કરવા અંગે ગુનાઓ દાખલ થતા કાર્યવાહી કરવા માટે દરખાસ્ત થઈ હતી
સમગ્ર રાજ્યમાં હાલ નસીલા પદાર્થોની હેરાફેરી અને તેનું સેવન
વધી ગયું છે ત્યારે આ સ્થિતિમાં પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ તેનું વેચાણ અટકે તે
માટે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમો દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોલેજોમાં
જઈને જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં
અગાઉ જે શખ્સો નાર્કોેટિક્સના કેસોમાં પકડાયા હોય તો તેમની ઉપર નજર રાખવામાં આવી રહી
છે અને આવા આરોપીઓને જેલમાં ધકેલી દેવા માટે પણ આયોજન થઈ રહ્યું છે. જે સંદર્ભે ગાંધીનગર
એસોજી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કલોલના મુબારકપુર ખાતે રહેતા સુનિલ જશુભાઈ વાઘેલાની
તપાસ કરી હતી અને તેની સામે ગાંજો રાખીને તેનું વેચાણ કરવા અંગે બે ગુના નોંધાયા હતા.
જેથી આરોપી અન્ય ગુનાઓના આચરે તે માટે તેની સામે પીઆઇટી એનડીપીએસ એક્ટ ૧૯૮૮ મુજબ કાર્યવાહી
કરવા માટે સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપીને દરખાસ્ત કરવામાં આવી હતી જેના પગલે આ દરખાસ્તને
મંજૂરી મળી જતા એસ.ઓ.જીની ટીમ દ્વારા સુનિલ વાઘેલાની અટકાયત કરીને તેને જામનગર જેલ
હવાલે કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં નાર્કોટિક્સના ગુનાઓ સાથે સંકળાયેલા વધુ આરોપીઓ
સામે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.








