Gujarat

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો

By GS TEAM
29 Aug 20252 mins read
જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો

રાજકોટ બારે ગુરૂવારે 3 ઠરાવ કરી મુલત્વી રાખ્યા : આખરે શુક્રવારે હાઇકોર્ટ બારને રાજકોટ બારનું સમર્થન : નિર્ણયમાં ઢીલ ટીકાસ્પદ બનીઃ આજે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

રાજકોટ, : ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રી સિસ્ટમ સામે સવાલો ઉઠાવનાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની પ્રસ્તાવિત બદલીનો ગુજરાત હાઇકોર્ટનાં વકીલો વિરોધ કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી દેખાવો- સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એવામાં રાજકોટ બાર એસોસિએશન મૂળ રાજકોટનાં વતની અને રાજકોટથી જ વકીલ તરીકે પ્રેકટીસ શરૂ કરનાર જસ્ટિસ ભટ્ટનાં સમર્થનમાં તત્કાળ નહીં ઉતરતાં ઘણાં વકીલોમાં નારાજગી વ્યાપી હતી. ગાડી ચૂકી ગયેલા રાજકોટ બાર એસોસિએશને આવતીકાલે વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ આખરે આજે પસાર કર્યો છે. આ પહેલાં, ગઇકાલે એટલે કે તા. 28મીએ જ રાજકોટ બાર એસોસિએશને હાઇકોર્ટનાં વકીલોને સમર્થન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો, જેને સાંજે પાછો ખેંચી લીધો હતો. આ અંગે રાજકોટ બાર એસોસિએશનનાં પ્રમુખ પરેશ મારૂએ જણાવ્યું કે હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા સૂચના મળી હતી કે, સુપ્રીમ કોર્ટનાં ચિફ જસ્ટિસ દ્વારા મીટિંગ માટે બોલાવાયા છે. જેને કારણે કોઇ નિવેડો આવવાની શક્યતા પરથી ગઇ તા. ૨૮મીનો ઠરાવ પાછો ખેંચી લીધો હતો. 

હજુ હાઇકોર્ટના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ચાલુ રાખ્યું છે, આ સ્થિતિમાં તેમના સમર્થનમાં આવતીકાલે રાજકોટમાં પણ વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. રાજકોટનાં ગૌરવરૂપ જસ્ટિસ સંદીપ ભટ્ટ બાબતે હાઇકોર્ટનાં વકીલોને સમર્થન આપવાનો ગઇ તા. 28મીનો ઠરાવ પાછો ખેંચી લેવા પાછળ રાજકોટ બાર એસોસિએશનનાં હોદેદારોએ જે કારણ આપ્યું હોય તે, પરંતુ વકીલોમાં એવી ચર્ચા છે કે, અમુક વકીલોએ જો સમર્થન આપશું તો આગામી દિવસોમાં યોજાનાર સેમિનારમાં જસ્ટિસો આવશે નહીં તેવું કથિત કારણ રજૂ કર્યું હતું. આ અથવા બીજા કારણોસર વકીલોમાં ચર્ચા છે કે બારે ગઇકાલે તા. 28મીએ ત્રણેક ઠરાવ રજૂ કરી તેને વોટ્સએપ ઉપર પણ મૂક્યા બાદ ડીલીટ પણ કરી નાખ્યા હતાં. 

આ સ્થિતિમાં જો રાજકોટ બાર એસોસિએશને શરૂઆતમાં જ સમર્થનનો ઠરાવ કર્યો હોત તો સોનામાં સુગંધ ભળત તેવી લાગણી અમુક વકીલોએ વ્યક્ત કરી  છે. એટલું જ નહીં રાજકોટને હાઇકોર્ટની બેંચ માટેની લડતમાં પ્રારંભે પણ રાજકોટ બાર કાર્યવાહીથી અળગું રહ્યાની બાબતથી વકીલોમાં નારાજગી હતી. 

જસ્ટિસ સંદીપ ભટ્ટનો અભ્યાસ અને કારકિર્દી પ્રારંભ રાજકોટથી

રાજકોટ, : જસ્ટિસ સંદીપ ભટ્ટે 1988માં રાજકોટની કોટક સાયન્સ કોલેજમાંથી બીએસસી કર્યું હતું. 1993માં લોની ડિગ્રી મેળવી હતી, 1993માં વકીલ થઇને સનદ મેળવી એકાદ વર્ષ રાજકોટમાં પ્રેકટીસ કરી હતી. 1994માં અમદાવાદનાં સિનિયર એડવોકેટ ગિરીશ ભટ્ટનાં જૂનિયર તરીકે જોડાયા હતાં. ઓક્ટોબર 2021માં તેમની ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ થઇ હતી.