જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Crime News: જૂનાગઢ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય એમ જાહેરમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ 28 વર્ષીય યુવાનની હત્યા કરી હતી. ત્યારે ફરી મધુરમ વિસ્તારમાં પાનની દુકાન પર યુવક મિહિરદાન લાંગડિયા પર 7થી વધુ લોકોએ ધોકા-પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાખોરોમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીનાં સંબંધીઓ પણ સામેલ હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે. આ સમગ્ર ઘટના પાનની દુકાનના CCTVમાં કેદ થઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિહિરદાનના બંને પગમાં ફેક્ચર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઇજાગ્રસ્ત મિહિરદાને જણાવ્યું હતું કે, ' મંગળવારે રાત્રે અભય ગઢવી (અભયદાન સૂરુ) દારૂ પીધેલી હાલતમાં ગાળાગાળી કરીને મારવાની ધમકી આપી હતી. તે સમયે મહેશ ગઢવીએ રાજભા ગઢવીની રિવોલ્વર કાઢી ધમકી આપી હતી. આ બોલાચાલીના મામલે આજે બપોરે અભય ગઢવીએ મોકલેલા મહેશ ગઢવી, લખન ગઢવી (રાજભા ગઢવીનો ડ્રાઇવર), પુંજો મેર, ભરત ઓડેદરા, કાનો ગઢવી સહિત 7થી વધુ શખસો ફોર્ચ્યુનર અને થાર લઈને આવ્યા હતા. તેમણે યુવકને ધોકા-પાઈપથી બેફામ માર મારી પગમાં ફેક્ચર કર્યા હતા અને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
યુવકે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે અને તેને તે રાખવાનો હક છે? એક જ દિવસમાં હત્યા અને હિંસક હુમલાની આ ઘટનાઓએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને ઇજાગ્રસ્ત યુવકે ન્યાયની માગણી કરી છે.









