Kirti Patel Crying Video: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરી, પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપ અને 20 લાખની ખંડણીના આરોપમાં ગઇકાલે 22 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂનાગઢ લાવી તેનું મેડિકલ ચેકઅપ કરી આજે 23 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે દરમિયાન તે મીડિયાના કેમેરાને જોતાં જ મગરમચ્છના આસું વહાવવા લાગી હતી.
એક કેસમાં જામીન મળ્યા, અન્ય બે ગુનામાં કાર્યવાહી શરૂ
કીર્તિ પટેલ સામે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા અને ધમકી આપવાના આરોપ બાદ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ધરપકડ બાદ આજે તેને જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટ દ્વારા કીર્તિ પટેલને 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં જામીન મળ્યા છે. જોકે, અન્ય બે ગુનામાં જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કીર્તિ પટેલ પર PSIને ફરજ રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ કેસ નોંધાયેલા છે. જે મામલે વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે.
રૌફ જમાવતી કીર્તિ પટેલ રડી પડી
આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, 'તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જોઈએ', આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ દાખલ થઈ
ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી.
આ પણ વાંચો: કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢ લવાઈ, ત્રણ ગુનામાં કાર્યવાહી શરૂ
તેવામાં તા.20 ફેબ્રુઆરીની રાત્રે કીર્તિ પટેલ સામે 20 લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. આ કેસના ફરિયાદીએ કીર્તિ પટેલ પર આરોપ લગાવી ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા સંકેત છે.


