જૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લીપ થતાં પાલનપુર ખાતે મોત
પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા તેમના વેવાઇ નુ એક્ટીવા લઇ ધંધાર્થે નીકળ્યા હતા : અચાનક એક શ્વાન આવી જતા તેને બચાવવા જતા એક્ટીવા પલ્ટી ગયુ
પાલનપુર,/ જૂનાગઢ : પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને પસાર થઇ રહ્યા હતા .દરમ્યાન અચાનક માર્ગમાં શ્વાન આવી જતાં તેને બચાવવા જતા એક્ટીવા સ્લીપ ખાઇ જતાં વેપારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
જૂનાગઢના વેપારી ભરતભાઇ શ્રીચંદ જેસવાણી જેઓ ધંધાર્થે પાલનપુરમાં આવ્યા હતા અને અહી હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા તેમના વેવાઇનુ એક્ટીવા લઇ રાત્રીના સમયે બજારમા ધંધાર્થે નીકળ્યા હતા અને રાત્રીના દશેક વાગ્યાના સુમારે જી. ડી. મોદી કોલેજ આગળ આવેલ એસટી વર્ક શોપ પાસે પસાર થઇ રહ્યા હતા દરમ્યાન અચાનક એક શ્વાન આવી જતા તેને બચાવવા જતા એક્ટીવા પલ્ટી જતાં જમીન પર પટકાયેલા વેપારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.