Junagadh News : ગિરનારની પવિત્ર ગોદમાં 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો 'મિની કુંભ' મેળો આજે (15 ફેબ્રુઆરી) તેના ઉતરાર્ધ તરફ આગળ વધ્યો છે. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે શિવરાત્રીના પાવન પર્વે મેળાનો અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની ભવ્ય શાહી રવેડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
રવેડી: શૌર્ય અને ભક્તિનો સંગમ
શાહી રવેડી એટલે સાધુ-સંતોનું ભવ્ય સરઘસ. શંખનાદ, ડમરુના ગુંજારવ અને હથિયારોના કરતબ સાથે જ્યારે દિગંબર સાધુઓ નીકળે છે, ત્યારે દ્રશ્ય અત્યંત મનોહર હોય છે. રવેડીના ભ્રમણ બાદ મધ્યરાત્રીએ તમામ સંતો અને નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે.
રવેડીનો ઇતિહાસ અને પરંપરા
ગિરનારની રવેડીનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. તે માત્ર ધાર્મિક સરઘસ નથી, પરંતુ સનાતન ધર્મની રક્ષા માટે સાધુઓએ ધારણ કરેલા શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયનું પ્રતીક છે. આ રવેડીમાં પંચ દશનામ જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાના સાધુઓ પોતપોતાના ઈષ્ટદેવ અને ધર્મધજા (નિશાન) સાથે જોડાય છે. ગજાનન એટલે કે હાથી પર સવાર મહામંડલેશ્વરો રવેડીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
મૃગીકુંડની પૌરાણિક માન્યતા
મૃગીકુંડ વિશે એવી ગાઢ શ્રદ્ધા છે કે, આ પવિત્ર કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન શિવ, અશ્વત્થામા અને નવ નાથ-ચોર્યાસી સિદ્ધો અદ્રશ્ય સ્વરૂપે પધારે છે. એક લોકવાયકા એવી પણ છે કે, શાહી સ્નાન સમયે કુંડમાં ઉતરેલા કેટલાક સાધુઓ ક્યારેય બહાર આવતા નથી અને તેઓ કુંડમાં જ અદ્રશ્ય થઈ જાય છે. તે દેવો હોય છે જે સાધુ સ્વરૂપે આ પવિત્ર સ્નાન કર્યા બાદ બહાર આવતા નથી. એક માન્યતા અનુસાર ભગવાન મહાદેવ પોતે પણ આ શાહીસવારી અને સ્નાનમાં જોડાય છે.
'મૃગી' નામ પાછળનું રહસ્ય
કહેવાય છે કે પ્રાચીન કાળમાં મૃગ (હરણ) જેવા મુખવાળા રાજા આ કુંડમાં સ્નાન કરવાથી શાપમુક્ત થયા હતા અને તેમનું મુખ માનવ જેવું થઈ ગયું હતું, ત્યારથી આ કુંડ 'મૃગીકુંડ' તરીકે ઓળખાય છે.
મૃગી કુંડનો રસપ્રદ ઇતિહાસ
મૃગી કુંડ મહિમા વિશે પાર્વતીજીના પ્રશ્નના જવાબમાં ભગવાન ભોળાનાથ જણાવે છે કે, કાન્ય કુબ્જા દેશના રાજા ભોજને વાત મળી કે મૃગના ટોળામાં મૃગ જેવા મુખ અને નારી શરીરવાળી રૂપાળી સ્ત્રી છે. રાજાએ ખરાઈ કરી તો આશ્ચર્ય સાથે તેને મૃગ જેવા મુખવાળી સ્ત્રી જોવા મળી. તેને સારા વસ્ત્રો અને આભૂષણો પહેરાવી રાજધાનીમાં લઈ આવ્યા, તેના વિશે જાણવા પ્રશ્નો પૂછયા, પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ ન મળતાં આઘાત લાગતા રાજાએ અન્નનો ત્યાગ કર્યો હતો. આથી બ્રાહ્મણોએ મૃગલીને તેના મુખે મનુષ્ય વાણી પ્રદાન કરી બોલતી કરતાં પોતાના પૂર્વ જન્મમાં તેણે સહન કરેલા દુઃખોની કથા સંભળાવી. તેને એક ઋષિએ કહ્યું કે દેશમાં રેવતાચલ પર્વતમાં તારા પાપો ઘોવાશે અને મોક્ષ મળશે. રાજાએ તેની વ્યથા સાંભળીને દયા આવતાં આ મૃગલીને પટરાણી બનાવી, તેને મૃગ શરીરથી મુક્ત કરાવવા રાજા ભોજ મોટો કુંડ બનાવ્યો અને તેમાં તેનું નામ મૃગી કુંડ આપ્યું.
કુંડમાં સ્નાન કરનારને મળે છે મુક્તિ
આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેવું આ કુંડનું મહત્ત્વ છે. આ મૃગી કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. અહીં ગંગેશ્વર સહ, બિન્દુ, સ્વર્ણ રેખા નદી વહે છે જે સર્વ પાપનો નાશ કરે છે. એક સમયે આ કુંડમાં પથ્થરો પણ તરતા હતા. સ્કંદપુરાણ અનુસાર આવું તીર્થ આ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્ય. મૃગી કુંડ પાસે કાળ મેઘ નામના ક્ષેત્રપાળ સ્વરૃપે સાક્ષાત્ શંકર ભગવાન રહેલા છે.
નાગા સાધુઓ મૃગી કુંડ સ્નાન કરે છે
મહા શિવરાત્રી વખતે નાગા સાધુઓ મૃગી કુંડ સ્નાન કરે છે. શ્રધ્ધાળુઓની માન્યતા છે કે તેમાં ખુદ ભગવાન ભોળાનાથ ચિરંજીવીઓ સાથે સિદ્ધપુરુષો સાથે સ્નાન કરે છે. મૃગી કુંડની દિવાલે મૃગી માતાજીની મૂર્તિ છે તેનું મુખ હરણનું અને શરીર સ્ત્રીનું છે. મૃગી કુંડનો અનેરો મહિમા છે તેનો દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને સાધુઓ એમાં શાહી સ્નાન કરી મેળાને પૂર્ણ કરે છે.


