તળાજા કોર્ટમા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો

- કોર્ટ બિલ્ડીંગના નબળા બાંધકામ મુદ્દે વકીલો હડતાળ પર ગયા હતા
- તળાજા બાર.એસો.એ પીડબ્લ્યુ પાસે ઇમારતની મજબુતીનો રિપોર્ટ માંગ્યો : ઉચ્ચકક્ષાએ રજૂઆતનો ઘડાતો તખ્તો
અંદાજે સાતેક વર્ષ પૂર્વે બનેલી તળાજાની કોર્ટ બિલ્ડીંગને ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો હોય તેમ ટૂંકાગાળામાં બિલ્ડીંગ જર્જરિત થઈ જતાં અહીં કામ કરતાં ન્યાયધિશથી લઈ કોર્ટ સ્ટાફ અને વકીલો પર જીવનું જોખમ ઉભું થયું છે. પીડબલ્યુડી વિભાગને વારંવાર જાણ કરવા છતાં મરામત ન થતાં તળાજા વકીલ મંડળે ગત મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી દિધી હતી.આ તરફ હડતાળના કારણે એક કોર્ટના દૈનિક ૩૦ લેખે ચાર કોર્ટના ૧૨૦ કેસની દૈનિક સુનાવણી અટકી પડી છે. સાથે જ કોર્ટમાં આવતાં વકીલો, અસીલાને ધક્કો પડી રહ્યો છે. જો કે,તળાજા પીડબ્લ્યુડીના સેક્સન ઓફિસરે દાવા સાથે જણાવ્યું કે, બિલ્ડીંગની છતમાંથી પાણી પડવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને પાંચ દિવસમાં ૭૫% કામ પૂર્ણ કર્યું છ.ફનચર,પ્લમબિંગના કામની સાથે પરિસરમાંથી ઝાડી ઝાંખરા દૂર કરવાનું કામ પણ ચાલું હોવાનું દાવામાં ઉમેર્યું હતું. જેની સામે તળાજા બાર એસો.એ બિલ્ડીંગની મજબુતાઈનો અહેવાલ માગ્યો છે.સાથે જ આ મામલે હાઈકોર્ટ સેક્રેટરીનો સમય માંગી તેમને વિગતવાર રજૂઆત કરવાનો તખ્તો ઘડાયો હોવાનું વકીલોએ જણાવ્યું હતું.
તળાજાના એક નિવૃત શિક્ષક લડી લેવાના મૂડમાં
તળાજા કોર્ટ બિલ્ડીંગ માત્ર સાતેક વર્ષમા જ નબળું પડી જતાં નબળી ગુણવત્તા નું બાંધકામની ચાડી ખાઈ રહ્યું છે. આ મામલે તળાજાના એક નિવૃત્ત શિક્ષકે બાંધકામ એજન્સીથી લઈ ખર્ચ સહિતની વિગતો એકત્રિત કરી છે. આગામી દિવસોમાં તેઓ ન્યાયિક લડતના મૂડમાં હોવાનું જાણવા મળેલ છે.








