ભુજ: સુખપરના જોગી સમાજે મૃતદેહના અગ્નિસંસ્કારની પરંપરા ફરી અપનાવી, હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરવાની પહેલ
Bhuj News: ભુજના સુખપર ગામમાં અરુણાબેન જોગી નામની યુવાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ દરમિયાન સમાજના લોકોએ મૃતદેહને દફનાવવાના બદલે અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવવા માટે જોગી સમાજના લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લેવી પડી હતી અને સંઘના સ્વયંસેવકોએ આ કામ સહજતાથી સંભાળ્યું હતું.
જાણો શું છે મામલો
સમાજિક સમરસતા માટે પ્રયત્નશીલ એવાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મંદિર, એક તળાવ અને એક સ્મશાનના સુત્રને ચરિતાર્થ કરવા સંઘના સ્વયંસેવકો પણ સતત કાર્યરત હોય છે. ત્યારે સુખપર ગામમાં જોગી સમાજના અગ્રણી ગોવિંદભાઈ જોગીનો સંઘના કાર્યકર્તાઓને જણાવ્યું કે, 'એક મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા માટે મૃતદેહને ગામનાં હિન્દુ સ્મશાનગૃહમાં લઈ જવો છે. પરંતુ અમે ઘણાં વર્ષોથી આ વિધિથી દૂર થઈ ગયા હોવાથી અમને માર્ગદર્શન આપો.'
સંઘના સ્વયંસેવકોએ આ કામ સહજતાથી સંભાળ્યું. સ્મશાનગૃહનું સંચાલન સંભાળતા કાર્યકર્તાઓએ શબવાહિની વાહન સહિતનો સહયોગ કર્યો અને ગામના અનુભવી કાર્યકર્તાઓ સાથે રહીને લાકડાં ગોઠવવા સહિત સંપૂર્ણ વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં સહયોગ કર્યો. અલગ અલગ બારથી પંદર ગામોમાંથી અંતિમયાત્રામાં જોડાયેલા જોગી સમાજના લોકોએ આ અગ્નિસંસ્કાર વિધિ જોઈને સુખપર સ્મશાનમાં જ સંકલ્પ કર્યો હતો કે, સ્થાનિક અનુભવી કાર્યકર્તાઓને સાથે રાખીને હવેથી અમારાં ગામમાં પણ મૃતદેહની અંતિમ વિધિ આ પ્રમાણે જ થાય તેવા પ્રયાસો કરશું.
લોકો હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા ફરી રહ્યા છે
ઉલ્લેથનીય છે કે, કાળક્રમે અલગ અલગ કારણોસર હિન્દુ સમાજનો અમુક વર્ગમાં મૃતદેહના પગના અંગૂઠામાં અગ્નિ આપીને દફનવિધિ કરવામાં આવે છે. પરંતુ એ વિધિ માટે જરૂરી વિશાળ જગ્યાનો અભાવ, એ જગ્યા વસ્તીથી ખૂબ દૂર હોવું, મૃતદેહને દફનાવવા ઊંડો ખાડો ખોદવો, વગડા જેવી ખુલ્લી જગ્યામાં મૃતદેહને હિંસક જનાવર નુકસાન ન કરે તેની ચિંતા, એ જગ્યાની સફાઈ અને જાળવણી કરવી, મૃતદેહને દફન કર્યા પછી તે જગ્યાએ નાનકડું બાંધકામ કરીને પરિવારજનોને તેની નિયમિત માવજત કરવી. આવી અનેક મુશ્કેલીઓ સાથે સમય પ્રમાણે આ વિધિ તર્કસંગત ન લાગતાં મોટાભાગનો સમાજ હવે વિચારતો થયો છે કે પોતાના પૂર્વજો જે રીતે અગ્નિસંસ્કાર કરતા તે જ પદ્ધતિ ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે.