Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દિવાળીના તહેવારોને લઈને સક્રિય બની છે, અને જુદી જુદી ત્રણ ટીમો બનાવી શહેરના મુખ્ય રોડ પર મહાનગરપાલિકાની જગ્યામાં મંજૂરી લીધા વગર લગાવી દેવાયેલા 2025થી વધુ જાહેરાતના બોર્ડ કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી હતી, અને છેલ્લા ચાર દિવસમાં 2,025 વધુ પોસ્ટર, બોર્ડ, અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને કારણે કેટલાક ધંધાર્થીઓએ મંજૂરી મેળવ્યા વિના આડેધડ જાહેરાત માટે બોર્ડ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. જેથી આડેધડ મુકાયેલા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની જામ્યુકોની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી.
જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ટીમો બનાવીને છેલ્લા 4 દિવસથી અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રણજીતસાગર રોડ, હવાઈ ચોક, ટાઉન હોલ, સેન્ટ્રલ બેંક, એસ.ટી.રોડ, બેડી નાકા, પી.એન. માર્ગ, સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો રોડ, સમર્પણ સર્કલ, ખોડીયાર કોલોની શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર લગાવી દેવાયેલા બિન અધિકૃત એવા 2,025 થી વધૂ જાહેરાતના બોર્ડ અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જે કાર્યવાહી ગઈકાલે સોમવારે પણ ચાલુ રખાઇ હતી.


