આણંદમાં એનએની પરવાનગી વગર ચાલતો જે.કે. લોટસ પાર્ટી પ્લોટ સીલ
- મનપા ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની કાર્યવાહી
- પાર્ટી પ્લોટના સંચાલક બીયુ પરમિશન, ફાયર એનઓસી સહિતના પુરાવા રજૂ ન કરી શક્યા
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા જે. કે. લોટસ પાર્ટી પ્લોટના સંચાલક પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બાબતે આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જે. કે. પાર્ટી પ્લોટના સંચાલકને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(બીયુ) અને ફાયર એનઓસી રજૂ કરવા બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ જે.કે. પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
ઉપરાંત જે. કે. પાર્ટી પ્લોટ ના સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.
ઉપરાંત પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોવાથી અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એનઓસી અત્યંત આવશ્યક હોવાથી અને તે મેળવેલી ન હોવાથી ભવિષ્યમાં જાન- માલને હાની ન પહોંચે તે હેતુથી તાત્કાલિક ધોરણેથી જે.કે.લોટસ પાર્ટી પ્લોટને આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યો છે.