વડોદરા : અમદાવાદના વેપારી સાથે રોકાણના બહાને ૨.૮૧ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી જીતેન્દ્ર જૈને વધુ એક વાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે એક વાર અને હાઇકોર્ટે બે વાર અરજદારની જામીન અરજી રદ કરતા આરોપીની આ છઠ્ઠીવારની જામીન અરજી પણ નામંજૂર થઇ છે.
વર્ષે ૨૦૨૨માં અમદાવાદના વેપારીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રણુ
ભરવાડ, રાજગુરુ રાધેબાપુ તેમજ જીતેન્દ્ર જૈન સહિતના છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી
હતી કે, આરોપીઓએ રોકાણના બહાને તેના બેંક એકાઉન્ટમાંથી
આરટીજીએસ મારફતે ૨.૮૧ કરોડ તેમના વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
આ બનાવમાં સંડોવાયેલા અને
છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી
જીતેન્દ્ર પપ્પુભાઇ જૈને આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર
તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરબીઆઇ,
પી.એમ.કાર્યાલય તેમજ સિંગાપોરની કંપનીના બોગસ લેટરો આપ્યા હતા.
આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીના એકાઉન્ટમાં એક કરોડની રકમ જમા થઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી. ન્યાયાધીશે બન્ને પક્ષની
દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.


