- 1 વર્ષથી રૂની ગાંસડીઓનો વેપાર થતો હતો
- સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઈન્ડિયા પ્રા.લિ.ના મહારાષ્ટ્રના કથિત વેપારી વિરૂદ્ધ ઠગાઈનો ગુનો
સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે જીનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સાથે પુનાના કથિત વેપારીએ રૂ.૬૪.૯૦ લાખની છેતરપિંડી આચરતા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ચોટીલા ખાતે શ્રી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા માત્રાભાઈ ઘેલાભાઈ રબારી કપાસ રૂમાંથી ગાંસડીઓ બનાવવાનો વ્યવસાય ધરાવે છે. રાજ્ય અને રાજ્ય બહાર જુદા જુદા વેપારીઓ સાથે રૂની ગાંસડીઓનું વેચાણ કરતા હોવાથી તેઓનો સંપર્ક મહારાષ્ટ્ર રાજ્યની સમૃધ્ધિ ઓર્ગેનીક ફાર્મ ઇન્ડિયા પ્રા.લિ સાથે થતા છેલ્લા એક વર્ષથી વારંવાર રૂની ગાંસડીનો વેપાર થતો હતો. જેમાં આગાઉ દરેક વેપારના રૂપિયા બેંકમાં જમા થતા હતા. પરંતુ થોડા સમય પહેલા ખરીદી કરેલા કપાસની ગાંસડીના રૂ.૭૯,૯૦,૭૬૩ વેપારી પાસે લેવાના બાકી નિકળતા હતા. આથી પેઢીના માલિક વેપારીને આ રકમ ચુકવવાનું જણાવતા કટકે કટકે રૂ.૧૫ લાખ જમા કરાવ્યા હતા. બાકીની રકમ રૂ.૬૪.૯૦ લાખની વારંવાર ઉઘરાણી કરતા પેઢીના માલિક વેપારી પ્રશાંતભાઈ મુરલીધર મોરાનકર રહે. પુનાવાળા આનાકાની કરતા હતા અને રૂપિયા આપવાનો ઇન્કાર કરી જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર ચોટીલાના વેપારીએ પુના ખાતે આવેલી સમૃધ્ધિ ઓર્ગેનીક ફાર્મ ઇન્ડિયા પ્રા.લિના કથિત વેપારી પ્રશાંતભાઈ મુરલીધર મોરાનકર વિરૂદ્ધ ચોટીલા પોલીસ મથકે રૂ.૬૪.૯૦ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


