Get The App

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ 1 - image


Ahmedabad News : અમદાવાદમાં પાલડી-આંબાવાડી વિસ્તારમાં ત્રિકમલાલની ચાલી પર બિલ્ડરોનો ડોળો મંડાયો છે. જેના કારણે ભાડૂતી ગુંડાઓ મકાનો ખાલી કરવા શ્રમિકોને ધમકી આપી રહ્યાં છે. જે મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પાલડી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. શ્રમિક મહિલાઓની પોલીસે ફરિયાદ કેમ ન નોંધી તે મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ફરિયાદ નહીં નોંધવામાં આવે તો પોલીસ કમિશ્નરના ઘર બહાર ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાલડી-એલિસબ્રિજમાં દારૂના અડ્ડાનું લિસ્ટ આપી બુટલેગરો સામે પગલાં ભરવા અલ્ટિમેટમ અપાયું

ધારાસભ્ય અમિત શાહના મત વિસ્તાર એલિસબ્રિજ-પાલડીમાં જીજ્ઞેશ મેવાણી શ્રમિકોના વ્હારે આવ્યા હતા. શ્રમિકોની રજૂઆત છે કે, ત્રિકમલાલની ચાલીના મકાનો ખાલી કરાવવા માટે બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ મેદાને પડ્યા છે. શ્રમિકો મકાનો ખાલી કરવા રાજી નથી ત્યારે ગુંડાઓએ મહિલાઓને અશ્લીલ ગાળો ભાંડી હતી. છેલ્લા 20 દિવસથી શ્રમિકોને ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શ્રમિકોએ પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી તો મહિલા પીઆઇએ ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.

બિલ્ડરનાં ઇશારે પોલીસ નાચતી હોવાનો દાવો

આ મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી શ્રમિક મહિલાઓ સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે, જે વૃદ્ધ ચાલી શકતા નથી તેમની સામે ફરિયાદ કેમ નોંધાઈ. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે, પાલડી-એલિસબ્રિજમાં કોચરબ ગામથી માંડીને માદલપુર સહિત અન્ય વિસ્તારમાં 20થી વધુ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. તો બુટલેગરો સામે કોઈ પગલાં લેવાતાં નથી. પોલીસની રહેમનજર હેઠળ ચાલતા અડ્ડા કેમ બંધ કરાવતા નથી. બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ વિરુદ્ધ કેમ પોલીસ ફરિયાદ નોંધતા નથી. બુટલેગરોના નામ સાથે દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું હતું. મેવાણીએ એવી ચીમકી ઉચ્ચારી કે, જો દેશી દારૂના અડ્ડા બંધ નહીં થાય તો પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.