Gujarat

પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી

By GS TEAM
23 Sep 20251 min read
પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી

- અકસ્માત, જાનહાનિની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે

- તન્મય પાર્ટી પ્લોટ સામે કાસોર-પેટલાદની 66,000 વૉલ્ટની વીજ લાઈન નીચે લાકડાંનું બાંધકામ 30 દિવસમાં દૂર કરવા સૂચના

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદમાં તન્મય પાર્ટી પ્લોટ નજીક થઈ રહેલા થનગનાટ ગરબા માટેનું બાંધકામ હાઈટેન્શન વીજ લાઈનની નીચે કરી દીધું છે. પરિણામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (જેટકો)ના જુનિયર એન્જિનિયરે થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ સંદર્ભે નોટિસ ફટકારી છે. 

જેટકો તરફથી ગરબાના આયોજકોને અપાયેલી નોટિસમાં જણાવ્યું છે કે, કાસોર પેટલાદની ૬૬૦૦૦ વૉલ્ટની લાઈનના સ્ટ્રક્ચર- ટાવર નં. ૫૫થી ૫૬ વચ્ચેના વાયરો વચ્ચે અને નીચેના સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. 

જેમાં થનગનાટ ગરબા આયોજકો તરફથી લાઈન નીચે લાકડાંનું તથા ૨.૦ મીટર બાજુમાં બાંધકામ કર્યું છે. ત્યારે આ બાંધકામનું અંતર ઈન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ ૧૯૫૬ની કલમ નં.-૮૦ મુજબ નથી. વીજળી અધિનિયમન, ૨૦૦૩ની કલમ ૬૮(૫) મુજબ ઈલેક્ટ્રીસિટી લઈ જવા માટે અડચણ થવાની સંભાવના છે. પરિણામે બાંધકામને ૩૦ દિવસમાં દૂર કરવા સૂચના આપવામાં આવે છે. બાંધકામના લીધે જો કોઈ પણ અકસ્માત, જાનહાનિ કે નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકોની રહેશે.