JEE મેઇનનું પરિણામ જાહેર, ભાવનગરના વિદ્યાર્થીઓ ઝળક્યા
- ગત જાન્યુઆરી દરમિયાન લેવાઈ હતી પ્રથમ ફેઈઝની પરીક્ષા
- તક્ષશીલા સ્કૂલના 12 વિદ્યાર્થીઓએ 90 થી વધુ, સિલ્વર બેલ્સના 17 છાત્રોએ 95 થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો
ગત તા.૨૧થી ૨૮ જાન્યુઆરી દરમિયાન જેઇઇ મેઇનના પ્રથમ ફેઝની પરીક્ષાઓ વિવિધ સેન્ટરો પર ગોઠવાઇ હતી. જો કે, છેલ્લા બે વર્ષથી ભાવનગર ખાતે એકપણ પરીક્ષા કેન્દ્ર નહીં ફાળવાતા ભાવનગરના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જવાની ફરજ પડી હતી. જેનું આજરોજ પરિણામ જાહેર થયું છે.એન્જિનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા જેઇઇ મેઇન પરીક્ષા મહત્વપૂર્ણ હોય છે. જેમાં શહેરની સિલ્વર બેલ્સના ૨૫ વિદ્યાર્થીઓમાંથી ૧૭ છાત્રો ૯૫થી વધુ પી.આર. મળ્યા છે. જેમાં નીલ સંઘવી, જયેન્દ્ર શંખવાર, વંશ શાહ, દ્વિજ ભુડીયા ૯૯ પ્લસ સાથે શાળાના ટોપર્સ બન્યા હતાં.ઉપરાંત, શહેરના કાળિયાબીડ સ્થિત તક્ષશીલા ઈન્સ્ટિટયુટની વિદ્યાર્થિની બંસી ઝડફીયા ૯૮.૯૮૮૨ પર્સન્ટાઈલ સાથે શાળા પ્રથમ આવી હતી. આ ઉપરાંત, આ જ શાળાના ૧૧ વિદ્યાર્થી ૯૦થી વધુ પર્સન્ટાઈલ મેળવવામાં સફળ રહ્યા હતા. શાળાના ઉજ્જવળ પરિણામ બદલ શાળા પરિસરમાં ઢોલ નગારા સાથે રાસ ગરબાની રમઝટ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો મુરલીધર કેરીયર એકેડમીમાં ૧૦૦ ટકા વિદ્યાર્થી ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા હતાં જેમાં દરેક છાત્ર ૮૦ પ્લસ રહ્યા હતા. આ જ સંસ્થાના ફિઝીક્સમાં ૯૫.૫૯ ટકા સાથે કાશીયા ક્રિયા, કેમેસ્ટ્રીમાં ૯૬.૬૫ ટકા સાથે વાળા નિમેશ, ગણિતમાં ૯૧.૪૦ ટકા સાથે કાછડ ધર્મિષ્ઠા પ્રથમ આવ્યા હતા.