આઠ વર્ષ પહેલાં જનમિત્ર કાર્ડ શરુ કરાયા હતા, BRTS માં નવા જનમિત્ર કાર્ડ આપવાનુ બંધ કરાતા લોકોને હાલાકી
નવા કાર્ડ ઈશ્યૂ નહીં થતાં હોવાથી મુસાફરોને ટિકીટ લેવી પડે છે
અમદાવાદ,શુક્રવાર,6 જુન,2025
વર્ષ-૨૦૧૭ના એપ્રિલ મહિનાથી બી.આર.ટી.એસ. બસમાં મુસાફરી
કરનારા માટે જનમિત્ર કાર્ડ આપવાની શરુઆત થઈ હતી.છેલ્લા છ મહિનાથી નવા જનમિત્ર
કાર્ડ આપવાનુ બી.આર.ટી.એસ. દ્વારા બંધ કરાતા લોકોને હાલાકી પડી રહી છે. નવા કાર્ડ
ઈશ્યૂ થતા નહીં હોવાથી લોકોને ટિકીટ લેવા લાઈનમાં ઉભા રહેવુ પડે
છે.બી.આર.ટી.એસ.દ્વારા સ્માર્ટ કાર્ડના બદલે આગામી સમયમાં પાસ ઈશ્યૂ કરવામાં આવશે.
જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના વિવિધ રુટ ઉપર
બી.આર.ટી.એસ.બસ દોડાવાય છે. જે સમયે જનમિત્ર કાર્ડ આપવાની શરુઆત કરાઈ હતી એ સમયથી
બી.આર.ટી.એસ.માં મુસાફરી કરવાવાળાને ટિકીટ લેવાની ઝંઝટમાંથી મુકિત મળી હતી.જનમિત્ર
કાર્ડ માટે જે કંપનીને કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો તે કંપની ટેકનિકલ ખામી દુર કરી
નહીં શકતા છ મહિના અગાઉ જ આ કંપની સાથેનો કોન્ટ્રાકટ સ્થગિત કરી દેવાયો હોવાનુ આધારભૂત
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.નવા કાર્ડ ઈશ્યૂ કરવામાં આવતા નથી.માત્ર જુના કાર્ડ
રીચાર્જ થઈ શકે છે.જો કોઈ મુસાફર સ્માર્ટ કાર્ડ કઢાવે તો ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામા
આવતુ હતુ.નવા કાર્ડ કાઢવામાં આવતા નહીં હોવાથી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળતુ
નથી.જનમિત્ર કાર્ડમાં જે લાભ મુસાફરોને અપાતા હતા એ લાભ પાસ ઈશ્યૂ કરાશે એ સમયે પણ
આપવામા આવશે.