જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં મકરાણી સમાજના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અને મકરાણી સમાજના પ્રમુખ જાનમામદ મોહમ્મદભાઈ બ્લોચ નામના 56 વર્ષના અગ્રણી ઉપર ગઈકાલે હવાઈ ચોક વિસ્તારમાં સહેજાદ સલીમભાઈ બલોચ, સાહિલ સલીમભાઈ નામના બે ભાઈઓ તથા તેના અન્ય બે સાગરીત દ્વારા લોખંડના પાઇપ સહિતના હથિયાર વડે હીચકારો હુમલો કરાયો હતો, જેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તેના પગમાં ટાંકા લેવા પડ્યા હતા, અને હાલ સારવાર હેઠળ છે.
આ બનાવની જાણ થતા સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો સૌપ્રથમ ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને જાનમામદભાઈ બ્લોચની ફરિયાદના આધારે તેના ઉપર હીચકારો હુમલો કરનાર ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફરીયાદી જે મકાનમાં ભાડેથી રહેતા હતા, તે મકાનના માલિક સહેજાદ બ્લોચ અને અન્ય ત્રણ શખ્સોએ ભાડાના પ્રશ્ને તકરાર કરી માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.જે આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે.








