જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું ચકચારી રૂપિયા 17 લાખ 20 હજારની ઉચાપાતનું પ્રકરણ
જામનગરની સરકારી જી જી હોસ્પિટલ સમયાંતરે કોઈના કોઈ પ્રશ્ને વિવાદમાં ચમકતી રહે છે. હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સીના બે કર્મચારીઓને રૂપિયા 17 લાખ 20 હજારની ઉચાપાતના કેસમાં નોકરીમાંથી પાણીચૂ આપી દેવામાં આવ્યું છે .
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં આઉટ સોર્સિંગના બે ક્લાર્કે કથિત રીતે ખોટા બીલો મૂકી રૂ.17 લાખ 20 હજારની ઉચાપત કર્યાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ ગઈકાલે હોસ્પિટલના ડો. ભાવિન. સી. કણસાગરા એ જી.જી. હોસ્પિટલ માં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા નામના બે આઉટ સોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પો.સબ. ઇન્સ. જે પી સોઢા એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બંને કર્મચારીઓએ ઓક્ટોબર 2023થી એપ્રિલ 2025 સુધીના સમયગાળા દરમિયાન કર્મચારીઓના બનતા પગાર બીલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા. આ બાબત તિજોરી કચેરીને ધ્યાનમાં આવતાં ત્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓને વાકેફ કર્યા હતા. અહીં સવાલ એ થાય છે કે કર્મચારીઓના પગાર જેવી થતી મહત્વની કામગીરી સરકારી કર્મચારી સિવાય એટલે કે ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીને આપી શકાય કે કેમ ?
આ બંને કર્મચારીઓ હોસ્પિટલના અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા વગેરેની મળતી રકમ પોતાના બેંક એકાઉન્ટ માં યેનકેન પ્રકારે ટ્રાન્સફર કરી લેતા હતા. જ્યારે આખો મામલો લગભગ પોણા બે વર્ષ સુધી હોસ્પિટલના જવાબદાર અધિકારીના ધ્યાનમાં પણ આવ્યો ન હતો, ત્યારે એ બાબત પણ શંકા ઉપજાવે છે.