જામનગર શહેરમાં વસવાટ કરતા 10 જેટલા બેંક ખાતેદારો, કે જેઓના બેન્ક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે સાયબર ઠગ ટોળકી દ્વારા તેઓના નાણા બેંક એકાઉન્ટમાંથી ઉસેડી લેવાયા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર સેલની ટીમે લાંબી કાનુની લડત ચલાવી હતી, અને આખરે આવા 10 આસામીઓની અંદાજે 9,64,000જેટલી રકમ તેઓના બેન્ક ખાતામાં પરત અપાવી દીધી છે, જેથી તમામ બેંક ખાતેદારોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમ જુદા જુદા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને રાજ્ય સરકારના 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત કેટલાક બેંક ખાતેદારોને તેઓના ફ્રોડમાં ગયેલા નાણાં પરત અપાવી દેવા માટે પણ જરૂરી કાર્યવાહી કરી હતી. જામનગર શહેરમાં વસવાટ કરતા 10 જેટલા નાગરિકો, કે જેઓએ પોતાની રકમ ફ્રોડમાં ગઈ હોવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં કરી હતી.
જેને લઈને જામનગરનું સાયબર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું, અને તમામ બેંક ખાતાઓ ફ્રીજ કરાવી દઈ, લાંબો કાનુંની જંગ પણ ચલાવ્યો હતો. આખરે બેંક મારફતે ઓર્ડર મેળવી લઇ તમામ 10 ખાતાધારકોની કુલ 9,64,651ની રકમ તેઓના બેન્ક ખાતામાં પરત અપાવી દીધી હતી.
જે તમામ 10 બેંક ખાતેદારોને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બોલાવ્યા હતા, અને તેઓને બેન્ક ના ઓર્ડર ની કોપી સુપ્રત કરી અને તેઓની રકમ પરત અપાવી દીધા ની જાણકારી આપી હતી. જેથી તમામ બેંક ખાતેદારોએ સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


