જામનગરનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો, 1.80 લાખ ગુમાવ્યા
દુલ્હન, મેરેજ બ્યુરો સંચાલિકા, રાજકોટના વચેટિયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ : લગ્ન બાદ 2 દિવસ રોકાઈને પોતે પરિણીત છે, અહીં રોકાવું નથી, આપઘાત કરી લઈશ તેવો ડર બતાવી દુલ્હન રાજકોટ પરત ચાલી ગઈ
જામનગર, : જામનગરનો એક યુવાન રાજકોટની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે અને 1,80,000 ગુમાવ્યા છે. દુલ્હન બે દિવસના રોકાણ બાદ પોતે પરિણીત છે અને અહીં રોકાવું નથી, નહીંતર આપઘાત કરી લઈશ તેવો ડર બતાવી રાજકોટ પરત ચાલી ગઈ હતી. આથી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના મેરેજ બ્યુરો સંચાલીકા મહિલા તેમજ રાજકોટના વચેટિયાઓ સહિત કુલ 6 સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં રહેતા જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા નામના 46 વર્ષના યુવાનને પત્ની સાથે છૂટાછેડા થઈ જતાં બે સંતાનો તેમની સાથે રહે છે.તેમને ફરીથી લગ્ન કરવા હોવાથી જામનગરમાં મેરેજ બ્યુરો ચલાવતા મીતાબેન ખેતિયાનો સંપર્ક કર્યો હતો. મીતાબેને રાજકોટના મુકેશભાઇ ભીખાભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી વગેરેના સંપર્કથી રાજકોટની નુરી નામની યુવતી સાથે રૂપિયા 1,80,000 હજારમાં સોદો કરીને લગ્નનું ગોઠવી દીધું હતું. જામનગરમાં રજીસ્ટર મેરેજ ઉપરાંત મંદિરમાં પણ લગ્ન વિધિ સંપન્ન કરી હતી. યુવાને આપેલી રકમ પૈકી મીતાબેનને 20,000, મુકેશભાઈને 1.20 લાખ અને બાકીની રકમ નુરી તથા તેના ભાઈ,ભાભીને આપી દેવાઇ હતી.લગ્ન બાદ નુરી બેન જામનગરમાં પત્ની તરીકે બે દિવસ રોકાયા બાદ ખાવા,પીવાનું બંધ કર્યું હતું.અને પોતે પરિણીત છે અને અહીં નથી રહેવું તેવા નાટક કરી પોતે આપઘાત કરી લેશે તેવો ડર બતાવી રાજકોટ ચાલી ગઈ હતી.તથા આ તમામ લોકોએ યુવાનને રકમ પરત આપવાનો ઇન્કાર કરી દેતા છેતરપિંડી કરનાર તમામ છ સામે જામનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવાતા તપાસનો દૂર રાજકોટ સુધી લંબાવાયો છે.