જામનગરમાં યુવાન પર જુની અદાવતના મનદુઃખના કારણે 3 શખ્સો લોખંડના પાઇપ અને ધારદાર હથિયાર વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં મોરકંડા રોડ પર સન સીટી શેરી નંબર-2 માં રહેતા સિદી બાદશાહ યુવાન પર જુની અદાવતનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સો લોખંડના પાઇપ અને છરી જેવા હથિયાર સાથે તૂટી પડ્યા હતા, અને હુમલો કરી દઈ લોહી લુહાણ કરી નાખ્યો હતો, જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને પોલીસે ત્રણ હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોધ્યો છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ સનસિટી સોસાયટીમાં રહેતા ફેઝલ આરીફભાઇ શીકારી (જાતે: સીદી બાદશાહ) નામના યુવાન પર મુસ્તુફા બાદશાહ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇકની ઠોકર મારી તેને પછાડીને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો. ઉપરાંત છરી વડે પણ હુમલો કરી લોહી લુહાણ કરી દેવાયો હતો.
ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ ઇજાગ્રસ્ત ફેઝલને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝનની પોલીસ ટીમ જી.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચી અને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે ફૈઝલની ફરિયાદના આધારે આરોપી મુસ્તુફા મોહમ્મદ વજુગરા અને તેના અન્ય બે સાગરીતો સામે ગુનો નોંધ્યો છે, અને ત્રણેય હુમલાખોરો હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.









