જામનગરની મહિલા પુત્રીના લગ્ન માટે વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પર પુષ્કર પાર્ક શેરી નંબર-8 માં રહેતી મંજુબેન કાનાભાઈ ખરા નામની 40 વર્ષની મહિલાએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી મકાનના કાગળો અને કોરા ચેકમાં સહી કરાવી ધાક ધમકી આપનાર મયુર ટાઉનશિપમાં રહેતા કમલેશ ચંદુલાલ ચાંદ્રા નામના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મહિલાને અગાઉ પોતાની પુત્રીના લગ્ન માટે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હોવાથી આરોપી કમલેશ ચાંદ્રા પાસેથી 3,00,000 વ્યાજે લીધા હતા અને દર મહિને 19,000 નો હપ્તો ચૂકવતા હતા. જે પેટે કુલ 3,42,000 ની રકમ ચૂકવી દીધી હતી.
વ્યાજખોરે સિક્યુરિટી પેટે ત્રણ કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી, ઉપરાંત મકાનના કાગળો પણ ગીરવે મુકાવી દીધા હતા, અને હજુ મુદ્દલ રકમ અને વ્યાજની ઉઘરાણી કરતાં આખરે મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો, અને આ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વ્યાજખોર સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.








