મુંબઈના કુખ્યાત ડ્રગ ડીલરની જામીન અરજી ફગાવતી જામનગરની સ્પેશ્યલ અદાલત
Jamnagar Court : જામનગરમાંથી ઝડપાયેલ એમ.ડી (ડ્રગ) કેસના અનુસંધાને મુંબઈના ડ્રગ ડીલરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેણે જામીન ઉપર મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. જે અદાલતેના મંજૂર કરી છે.
આ કેસની વિગત એવી છે કે, નારકોટીક કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) અમદાવાદને બાતમી મળી હતી કે, જામનગરમાં એમ.પી.શાહ ઉધોગનગરમાં જગદિશ એન્જી.વર્કસ નામનું કારખાનુ ઘરાવતા ભાસ્કર ભરતભાઈ વાડોદરીયાએ પોતાના કારખાનામાં મેફેડ્રોન (એમ.ડી) છુપાવેલ છે. આ બાતમીને આધારે એનસીબીના અધિકારીઓએ કાયદાકીય કાર્યવાહી કરી ભાસ્કર વાડોદરીયાના કારખાને રેડ કરતાં 10 કિલો 320 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યુ હતું.
આ અન્વયે એન.સી.બી.ની ટીમે તપાસ કરતાં આ ગુન્હાનું પગેરૂ મુંબઈથી મળી આવેલ અને તપાસ દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલ કુલ આઠ આરોપીઓની અટક કરવામાં આવી હતી.
આ ગુન્હાના મુખ્ય આરોપી તથા મુંબઈના કુખ્યાત ડ્રગ ડીલર મોહમદ ઈકરમઅલી ખત્રીએ પોતે કોઈ ગુન્હો કરેલ ન હોય, રેઈડ સમયે પોતે હાજર ન હોય, પોતા પાસેથી કોઈ મુદામાલ કબ્જે કરેલ ન હોય, પોતે ઉમર લાયક હોય, પરીવારની જવાબદારી પોતા પર હોય, લાંબા સમયથી જેલમાં હોય ત્યા પોતાને ખોટી રીતે ફસાવી ખોટો ગુન્હો દાખલ કર્યો છે, વિગેરે કારણો દર્શાવી જામનગરની સ્પેશ્યલ અદાલતમાં જામીન પર છુટવા માટે અરજી કરી હતી.
આરોપીની જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર તરફે એ.પી.પી. ધર્મેન્દ્ર એ.જીવરાજાનીએ દલીલ કરેલ હતી કે, આરોપી આ ગુન્હાનો મુખ્ય તહોમતદાર છે, ડ્રગ મેન્યુફેકચર પાસેથી પોતે માલ ખરીદ કરી અને અન્ય આરોપીને વેંચાણ અર્થે આપેલ છે, આજના યુગમાં દેશના યુવાઘનને બરબાદ કરનાર ગંભીર ગુન્હાના આરોપીને માત્ર લાંબા સમયમાં જેલમાં હોય તેવા કારણસર જામીન પર મુકત કરી શકાય નહી.
હાલ ઘણા બધા જુના કેસો પેન્ડીંગ છે, જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો સાક્ષીઓને ઘમકી કે પ્રલોભન આપવાની શકયતાઓ રહેશે. આવા ગંભીર ગુન્હાના આરોપીને જામીન મુકત ન કરવા જોઈએ વિગેરે દલીલો ધ્યાને લઈ સ્પેશ્યલ જજ આર.વી.માંડણીએ ડ્રગ ડીલરની જામીન અરજીના મંજુર કરી હતી.