Gujarat

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લાખ

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
ચેરમેન જીતૂભાઈ લાલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણયથી હજારો ખેડૂત પરિવારોને મળશે વધારાની આર્થિક સુરક્ષા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લાખ

Jamnagar : ખેડૂતોના હિત અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને લોકકલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અગાઉ અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.5 લાખનું વીમા કવર આપવામાં આવતું હતું, જેમાં હવે રૂ. 5 લાખનો વધારો કરવામાં આવતા કુલ વીમા સુરક્ષા કવર રૂ.10 લાખ કરવામાં આવ્યું છે.

 જામનગર જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયથી જિલ્લાના હજારો ખેડૂતો અને તેમના પરિવારોને વધુ મજબૂત આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે. કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની સ્થિતિમાં ખેડૂત પરિવારને આર્થિક સહારો મળી રહે અને મુશ્કેલીના સમયમાં પરિવારને સંકટનો સામનો કરવામાં રાહત મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બેંક દ્વારા જણાવાયું છે.

 બેંકના ચેરમેન જીતેન્દ્રકુમાર એચ.લાલના માર્ગદર્શન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સહયોગથી અમલમાં મૂકાયેલ આ યોજના ખેડૂતોના જીવનમાં સુરક્ષાની નવી આશા જગાવનાર સાબિત થશે. આ નિર્ણય માત્ર વર્તમાન સમયના ખેડૂતો માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર અને આગામી પેઢીના ભવિષ્યને પણ વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે.

 જામનગર જિલ્લા સહકારી બેંક વર્ષોથી ખેડૂતોના સર્વાંગી વિકાસ, આર્થિક સશક્તિકરણ અને કલ્યાણ માટે સતત કાર્યરત રહી છે. ખેડૂતોને વધુ સારી બેંકિંગ સેવાઓ, કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા આધારિત લાભો ઉપલબ્ધ થાય તે માટે બેંક સતત પ્રયત્નશીલ રહી છે. 

બેંકના ચેરમેન જીતેન્દ્રકુમાર એચ.લાલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે ભવિષ્યમાં પણ વધુ લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે, જેથી સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બને અને ખેડૂતોનો વિકાસ વધુ ગતિશીલ બને.

 ખેડૂતોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા તરફનું આ પગલું સહકારી ક્ષેત્રમાં એક પ્રેરણાદાયી પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે અને ખેડૂતોમાં પણ આ નિર્ણયને આવકાર મળ્યો છે.