જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે બચુનગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા માટે મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને જુદી જુદી મશીનરીઓનો ઉપયોગ કરીને અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરના બચુનગર વિસ્તારમાં અગાઉ અનેક દબાણો દૂર કરીને મોટી જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે, ત્યારે ત્યાં એક જમાતખાનાની ધાર્મિક જગ્યા કે જે સંપૂર્ણપણે મહાનગરપાલિકાની જગ્યામાં બનાવાયેલું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને અંદાજે 12,000 ચોરસ મીટર જગ્યામાં દબાણ હોવાથી આ જગ્યા ખુલ્લી કરાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી દ્વારા આદેશ કરાયો હતો.
જેના અનુસંધાને જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ સહિતના 50 જેટલા અધિકારી અને કર્મચારીઓનો કાફ્લો આજે વહેલી સવારે 8.00 વાગ્યે બચુ નગર વિસ્તારમાં પહોંચી ગયો હતો. જેના માટે પોલીસ કાફલો પણ મદદે આવ્યો હતો. આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવા માટે એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, અને બે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે, અને ધાર્મિક સ્થળવાળી જગ્યા કે જેના પર દબાણ છે. તે તમામ બે માળ સહિતના બાંધકામને તોડીને જગ્યા ખુલ્લી કરાવવા માટેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો કાફલો આજે વહેલી સવારથી જ સ્થળ પર પહોંચી ગયો હતો, અને સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી મદદમાં જોડાઈ હતી.








