જામનગર મનપા દ્વારા વધુ 100થી વધુ મિલકતોમાં તોડપાડની કાર્યવાહી
સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત બીજા દિવસે ડિમોલિશન
બીજા દિવસે શાંતિ પૂર્ણ રીતે મિલ્કત કપાતની કામગીરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો ગઇકાલે સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો. અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું હતું. અને પ્રથમ દિવસે ૧૧૧ મિલકતો પર કપાત સહિતની કામગીરી કરી લેવાયા બાદ આજે રવિવારે બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઇ છે. અને ૧૦૦ થી વધુ મિલકતો ઉપર મનપાનો હથોડો વીંઝવામાં આવી રહ્યો છે. જોકે બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી હતી.
જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મી નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. અને તેના ભાગરૂપે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે મિલકતોમાં પાડતોડની કાર્યવાહીમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે. અને મનપાના ૧૫૦થી વધુનો સ્ટાફ જોડાયેલો છે. સાથે સાથે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાના માર્ગદર્શન હેઠળ ૧૦૦થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજમાં ગોઠવાયેલા છે. અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે.