પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે.
સુરક્ષા દ્રષ્ટિએ, કોઈપણ આતંકવાદી ઘટના પછીના હાઈ-એલર્ટ સમયગાળા કરતાં 'સામાન્ય' ગણાતો સમય વધુ મહત્ત્વનો હોય છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.
આ ઓપરેશન એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયું હતું.
જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને પી.એસ.આઈ. જી.એમ. બોપલિયા સહિતના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ" હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર, ખારા બેરાજા અને માધાપર ભૂંગા દરિયાઈ વિસ્તાર જેવા મહત્ત્વના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.
ઓપરેશન દરમિયાન, મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવીને દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું.
આ ઉપરાંત, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટરો, મહત્ત્વના વિસ્તારો (વાઈટલ એરિયા) અને અવાવરુ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સરાહનીય કામગીરીનો મુખ્ય હેતુ દેશદ્રોહી અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા તેમજ દરિયાઈ સીમાઓ પરથી થતી ઘૂસણખોરી અટકાવવાનો છે, જેથી કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ટાળી શકાય.


