Get The App

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા 1 - image

Jamngaar Cyber Crime : જામનગર શહેર જિલ્લા સહિતના 100 થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી નાણા પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્યોને જામનગર સાઇબર સેલની ટુકડીએ ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી 12 નંગ મોબાઈલ ફોન, બે સીપીયુ, 8 નંગ બેન્કની પાસબુક સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

 જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરી આપવાના બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી, અને જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ પ્રકરણમાં તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું, કે એક સોલાર કંપનીની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે.

 જે ટોળકીએ ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને વધુ તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે 100 કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.

 આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(5), 318(4), 61(2) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને તે ગુન્હામાં (1) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.37 (રહે. તીરૂપતી પાર્ક 7/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.4 હિમાલય સોસયટી જામનગર), (2) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.36 (રહે.નિલકમલ સોસાયટી શેરી નં.5 ખોડીયાર કોલોની જામનગર, (૩) રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.૫૨ (રહે.1/2 મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર) (4) અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.28 (રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર), અને (5) રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.25 નોકરી (રહે-જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર)ની અટકાયત કરી લીધી છે.

 જેઓ પાસેથી 12 નંગ મોબાઈલ ફોન, બે નંગ સી.પી.યૂ., 8 નંગ જુદી-જુદી બેંકની પાસબુક, ચેકબુક સહિતનું સાહિત્ય કબજે કરાયું છે. આ પ્રકરણમાં તેઓની સાથે સંકળાયેલા અન્ય છઠ્ઠા આરોપી કાનાભાઇ બૈડીયાવદરાને ફરાર જાહેર કરાયો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.