જામનગરના કોલેજીયન યુવતીને નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર
Jamnagar Sucide Case : જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર-2 માં રહેતી અને પંચવટી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કેસરબેન ગોવિંદભાઈ વાટલીયા નામના 18 વર્ષની કોલેજીયન યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમા કપડાની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે, અને પરિવારમાં કરુણાંતિકા છવાઈ છે.
આ બનાવ અંગે મૃતક યુવતીના પિતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાટલીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ.ડીવીઝનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને વિદ્યાર્થીનીના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વિદ્યાર્થી યુવતીએ તાજેતરમાં નીટની પરીક્ષા આપી હતી, અને તેનું રીઝલ્ટ આવ્યું હતું, જેમાં તેને સારા માર્ક્સ આવ્યા ન હતા, તેથી તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ખોટા વિચારો કરતી હતી. દરમિયાન ગઈકાલે તેણીએ ગળાફાંસો ખાઈ લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.