Gujarat

હાર્દિક પંડ્યા રવાના થયાની મિનિટોમાં જ જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

By GS TEAM
14 Jan 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલથી બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના થયાના થોડા સમય બાદ જ આ ધમકીભર્યો સંદેશ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હાર્દિક પંડ્યા રવાના થયાની મિનિટોમાં જ જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Jamnagar Airport Bomb Threat news : ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલથી બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના થયાના થોડા સમય બાદ જ આ ધમકીભર્યો સંદેશ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

આ ઈ-મેઈલ મળતાની સાથે જ જામનગર એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલસીબી અને એસઓજી જેવી સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમો સહિતનો મોટો પોલીસ કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો હતો. જામનગર એરપોર્ટ ભારતીય વાયુસેનાના નિયંત્રણ હેઠળ હોવાથી તેની સુરક્ષાનું મહત્ત્વ વધી જાય છે. ધમકીને પગલે સમગ્ર એરપોર્ટ પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા એરપોર્ટના દરેક ખૂણામાં, જેમાં ટર્મિનલ બિલ્ડિંગ, રનવે અને પાર્કિંગ વિસ્તારનો સમાવેશ થાય છે, સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

મુસાફરોની સુરક્ષા અને તપાસ

સુરક્ષાના ભાગરૂપે, એરપોર્ટ પર આવતા-જતા તમામ મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર બિનજરૂરી અવરજવર રોકવા માટે અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોઈ પણ અણબનાવને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટી સેવાઓને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમની અવરજવર એરપોર્ટ પર વધી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી, પોલીસ અને સાયબર સેલની મદદથી આ ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જામનગર એરપોર્ટ પર વિદેશી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જે તપાસ બાદ અફવા સાબિત થઈ હતી. જોકે, વર્તમાન ધમકીને પૂરી ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને જ્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન રહેશે.