જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News: હોળી-ધૂળેટીના પવિત્ર પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓમાં આજે ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર પદયાત્રા કરી રહેલી એક 18 વર્ષીય યુવતીનું અચાનક ગભરામણ થયા બાદ કરૂણ મૃત્યુ નીપજ્યું હતુ.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નિપજ્યુ
મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે જામનગરના નાઘેડી ગામથી પાંચેક શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા તરફ રવાના થયો હતો. આ સંઘમાં 18 વર્ષીય જયશ્રીબેન ગમારા પણ ઉત્સાહભેર પદયાત્રા કરી રહ્યા હતા. ગત સાંજે જ્યારે આ પદયાત્રીઓ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ટોલનાકા પાસે પહોંચ્યા, ત્યારે અચાનક જયશ્રીબેનને છાતીમાં ગભરામણ થવા લાગી હતી.
યુવતીની તબિયત લથડતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. ગંભીર હાલતમાં જયશ્રીબેનને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
યાત્રીઓમાં ગમગીનીનો માહોલ
ભક્તિભાવ સાથે દ્વારકા જઈ રહેલા સંઘમાં આ અચાનક બનેલી ઘટનાથી માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ યુવતીના મોતથી નાઘેડી ગામ અને પદયાત્રીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ફૂલડોલ મહોત્સવને કારણે હજારો પદયાત્રીઓ રસ્તા પર છે, ત્યારે તબીબો સલાહ આપે છે કે પદયાત્રા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું, થોડા અંતરે વિરામ લેવો અને જો સહેજ પણ અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સહાય મેળવવી.








