Gujarat

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો

By GS TEAM
26 Jan 20261 min read
બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો

- મુખ્ય સૂત્રધારની શનિવારે ધરપકડ કરાઈ હતી

- એસઆઇટીએ પોલીસના કાફલા સાથે માયાભાઈ આહિરના પુત્રને કોર્ટમાં રજૂ કર્યો

ભાવનગર : બગદાણામાં કોળી યુવાન પર થયેલા હુમલામાં આખરે મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને એસઆઇટીએ ગઈ કાલે ધરપકડ કરી હતી.અને આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે મહુવાની કોર્ટમાં રજૂ કર્યો હતો.મહુવાની અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

૨૬ દિવસ પહેલા બગદાણામાં નવનીતભાઈ બાલધીયા નામના યુવાન પર આઠ ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો.અને નવનીતભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે બગદાણા ખાતે ફરિયાદમાં માત્ર આઠ અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરી ફરિયાદ નોંધી લેવામાં આવી હતી ત્યાર વિવાદનો વંટોળ ઉઠતા બગદાણાના પીઆઇને હટાવી મહુવાના પીઆઈ ને તપાસ આપવામાં આવી પરતુ મહુવાના પીઆઈ પણ કુલડીમાં ગોળ ભાંગતા હોય તેમ તપાસ ચલાવતા હોય આગેવાનોની રજૂઆતના પગલે  સરકારે એસઆઈટીની રચના કરી હતી.એસઆઇટીએ તપાસ સાંભળતા આંઠ ઉપરાંત પાંચ શખ્સોની ધરપકડ કરી સઘન પૂછપરછ અને નિવેદનો નોંધ્યા હતા.તદુપ્રાણ નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધ્યું હતું.અને આખરે મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને ૧૪ માં આરોપી તરીકે ધરપકડ કરી હતી.આજે એસઆઇટી જયરાજ આહિરને પોલીસ કાફલા સાથે મહુવાની અદાલતમાં રજૂ કર્યો હતો.જોકે એસઆઇટીએ રિમાન્ડની માંગણી કરી ન હોય કોર્ટે જયરાજને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.