અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે જગન્નાથજીની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળશે, વડોદરામાં લેવાયો નિર્ણય
Vadodara Rathyatra to Be Held Simply: દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથ મંદિરની બહાર આવીને નગરયાત્રા કરી ભક્તોને દર્શન આપે છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. પરંતુ, આ સિવાય વિવિધ જિલ્લાઓમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં પણ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. જોકે, આ વર્ષે વડોદરામાં સાદગીપૂર્ણ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રથયાત્રાને પગલે આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
સાદગીપૂર્ણ નીકળશે રથયાત્રા
મળતી માહિતી મુજબ, 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેનક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 259 લોકો મોતને ભેટ્યા છે. હજું આ વાતનો મહિનો પણ પૂરો નથી થયો અને અનેક ઘરોમાં શોકની લાગણી છે. જેથી લોકોની ભાવના અને સંવેદનાને માન આપતા તેમજ મોતને ભેટલા લોકોને શ્રદ્ધાંજલિના રૂપે આ વર્ષે વડોદરામાં પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે. આ મહત્ત્વનો નિર્ણય ઈસ્કોન મંદિર દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપી હાજરી
ઈસ્કોન મંદિરે લીધો નિર્ણય
વડોદરા ઈસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદજીએ જણાવ્યું હતું કે, રથયાત્રા તેના નિર્ધારિત સમય પ્રમાણે અષાઢી બીજે જૂનના દિવસે બપોરે સ્ટેશનથી 2:30 વાગ્યે પ્રસ્થાન કરશે. વડોદરાના મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર લાખો ભક્ત ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા હોવાના કારણે આ વર્ષે 45 ટન શીરાનો પ્રસાદ વેચવામાં આવશે. રથયાત્રા સ્ટેશનથી સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાળા, કોઠી ઓફિસ, રાવપુરા મેઇન રોડ જુબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડીયાબજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોર્ટ ન્યાય મંદિર, મદનઝાપા, કેવડાબાગ થઈને રાત્રે 8:00 વાગ્યે પોલો ગ્રાઉન્ડ પહોંચશે અને રાત્રે મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવશે. જ્યાં ભક્તો ભાવપૂર્વક ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરશે.