Get The App

રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કરી આરતી અને પૂજા-અર્ચના

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કરી આરતી અને પૂજા-અર્ચના 1 - image


Jagannath Rathyatra In Ahmedabad:
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી અમદાવાદની જગન્નાથ રથયાત્રા આવતીકાલે 27 જૂને નીકળવાની છે, ત્યારે આજે (26 જૂન) ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. 

અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.

આ પણ વાંચો: રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો 'સોનાવેશ', ભક્તોનું ઘોડાપૂર; મોસાળમાં તૈયારીઓનો ધમધમાટ

મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

રણછોડરાય મંદિરે દર્શને પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરસપુર રણછોડરાય મંદિરે દર્શન માટે પહોચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીં ભૂપેન્દ્ર પટેલે વિશેષ પૂજા અર્ચના કરી હતી. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વાર મુખ્યમંત્રીએ સરસપુરની મુલાકાત લીધી હતી.

રથયાત્રા પૂર્વે કોંગ્રેસના નેતાઓએ કર્યુ રથ પૂજન

જ્યારે આજે કોંગ્રેસના નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલાએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાના રથનું પૂજન કર્યું હતું.

આ પણ વાંચો: સુરતની અનોખી રથયાત્રાઃ અષાઢી બીજ નહીં, બે દિવસ બાદ ભક્તોને દર્શન આપવા નગરચર્યા કરે છે ભગવાન જગન્નાથ

Tags :