અમરેલીના જાફરાબાદના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે થયો ઘટસ્ફોટ, 3 માછીમારની પૂછપરછ
Valsad Boat: અમરેલીના જાફરાબાદના દરિયામાં ત્યારબાદ દમણના દરિયામાં દેખાયેલી એક શંકાસ્પદ બોટ મામલે ખુલાસો થયો છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ તરત હરકતમાં આવી ગયું હતું. હેલિકોપ્ટર મારફતે બોટને લોકેટ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓએ બોટના પરિચય તથા તેમાં હાજર વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. બોટમાં સવાર ત્રણેય માછીમારો વલસાડના જ હોવાનું સામે આવ્યું છે. આ બોટ માછીમારોની હોવાની અને એન્જિન બંધ પડી જતા અટવાઈ હોવાનું સામે આવ્યું છે.
બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો. વલસાડ જિલ્લા SOG અને LCB પોલીસની તપાસ કરાઇ. બોટમાં સવાર ત્રણ માછીમારીની આકરી પૂછપરછ કરાઈ હતી. જાફરાબાદના દરિયામાં સ્થાનિક માછીમારોને ગેરસમજ થઈ હતી. રવિ નામની બોટ વલસાડની હોવાની માહિતી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી. જણાવી દઈએ કે, શંકાસ્પદ બોટ દેખાતા 22 લેન્ડિંગ પોઈન્ટ એલર્ટ પર હતા. બોટને કાકવાડી ગામના કિનારે ઝડપી પડાઈ હતી.
વલસાડ એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'શંકાસ્પદ બોટને ઝડપી લેવાઈ હતી. આ બોટને ચેક કરતા તે ભારતીય બોટ હોવાનું જ જાણવા મળ્યું હતું. બોટનો ચાલક અને તેની સાથે અન્ય બે ખલાસીઓ પણ હતા. બોટનું સંપૂર્ણ ચેકિંગ કરી લેવાયું છે. તેમાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. જો કે, હાલ દસ્તાવેજ ચેક કરવાની કામગીરી ચાલુ છે. ઇનપુટ મળ્યા હતા તે પ્રમાણે કોઈ શંકાસ્પદ બોટ નથી.'