કરદાતાઓ ૧૫મી જૂન સુધી તેમના રિટર્ન ફાઈલ કરી શકશે જ નહિ
CBDTએ આઈટીઆર-૧-૪ની યુટિલિટી તો બહાર પાડી દીધી છતાં તકલીફ
ટીડીએસની વિગતો આપતું ફોર્મ ૧૬ પણ ૧૫ જૂન પહેલા મળી જવાની સંભાવના ઓછી હોવાથી રિટર્ન ફાઈલ નહીં કરી શકાય
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઇન્કમ ટેક્સ રિટર્ન-આઈટીઆર ૧થી ૪ની યુટિલીટી તો બહાર પાડી દીધી છે, પરંતુ કરદાતાઓ ૧૫મી જૂન ૨૦૨૫ સુધી તેમના આવકવેરાના ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી શકશે નહિ. પંદરમી જૂન પહેલા સીબીડીટી જરૃર દસ્તાવેજો અને સિસ્ટમ્સ બરાબર કામ કરતી થઈ જાય તેની સરકાર રાહ જોઈ રહી છે. આ વ્યવસ્થા થઈ જાય તો જ સરળતાથી અને ચોકસાઈ સાથે કરદાતાઓ તેમના આવકવેરાના રિટર્ન ફાઈલ કરી શકશે. આમ તો પહેલી એપ્રિલથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી શકાય છે. પરંતુ તેમાં બે મહિનાનો વિલંબ થઈ ચૂક્યો છે.
આઈટીઆર ૧ (સહજ) પગારદાર કરદાતાઓ, એક જ ઘરની માલિકી ધરાવતા કરદાતાઓ, ફેમિલી પેન્શનની આવક ધરાવનારાઓ, રૃ. ૫૦૦૦ સુધીની કૃષિની આવક ધરાવનારા અને બચત ખાતમાં વ્યાજની આવક ધરાવતા, બેન્ક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટની આવક ધરાવતા કરદાતાઓ આઈટીઆર-૧ ફાઈલ કરવાનું આવે છે. બીજીતરફ વાષક રૃ. ૫૦ લાખથી ઓછી આવક ધરાવનારા વ્યક્તિગત કરદાતાઓએ આઈટીઆર-૪ ભરવાનું થાય છે. હિન્દુ અવિભક્ત પરિવાર, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપની અને આવકવેરા ધારાની કલમ ૪૪એડી, ૪૪એડીએ અને ૪૪એઈ હેઠળ પ્રીઝમ્પ્ટીવ ટેક્સ ભરનારાઓએ આઈટીઆર-૪(સુગમ) ફાઈલ કરવું પડે છે. આવકવેરાના પોર્ટલ પર રિટર્ન ફાઈલ કરવા માટે તેમને એક્સલ આધારિત યુટિલીટી મળી શકે તેમ જ નથી. તેથી તેઓ રિટર્ન ફાઈલ કરી શકતા નથી. આ યુટીલિટી પહેલી એપ્રિલ ૨૦૨૫ પહેલા જ પૂરી પાડવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ બંધાયેલું છે. આ યુટીલિટી ઓફલાઈન મળે તો તેમાં કરદાતાના રિટર્નની વિગતો ફાઈલ થઈ શકે છે. તેમાં આવકને લગતી વિગતો અને તેને સમર્થન આપતા પુરાવાઓ મૂકી શકે છે. ત્યારબાદ જેસોન જનરેટ કરી શકાય છે. આ જેસોન જનરેટ થયા પછી જ રિટર્ન ઓનલાઈન સબમિટ કરી શકાય છે.
રિટર્નનું ઈ-ફાઈલિંગ કરવા માટેની યુટિલિટી ન હોવા ઉપરાંત ટીડીએસના સર્ટિફિકેટ પણ હજી ઇશ્યુ કરાયા નથી. તેથી પણ રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ પડશે. ટીડીએસની વિગત સાથેના ફોર્મ ૧૬ ૧૫મી જૂનથી મળવાના ચાલુ થશે. સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ આવ્યા નથી. તેમાં કરદાતાઓ કરેલા ખર્ચ, ભરેલા એડવાન્સ ટેક્સ, હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનની વિગતો રિફ્લેક્ટ થાય છે. તેના વિના પણ રિટર્ન ફાઈલ કરવા મુશ્કેલ છે. ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક ગાળાની ઉપરોક્ત વિગતો જૂન માસના બીજા અઠવાડિયામાં મળશે. તેના પહેલા જ રિટર્ન ફાઈલ કરી દેવાય તો તેમાં વિગતો અધૂરી રહી જવાની સંભાવના રહેલી છે. આ વિગતો મળ્યા પછી જ પૂર્ણ ચોકસાઈ સાથે રિટર્ન ફાઈલ કરી શકાશે. જોકે સીબીડીટીએ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી જુલાઈથી લંબાવીને ૧૫મી સપ્ટેમ્બર તો આ અગાઉ કરી આપી છે.